અમદાવાદના લો ગાર્ડન પાસે આંગડિયા લૂંટને અંજામ આપવા ત્રણ મહિના રેકી કરી હતી. ઓનલાઇન માર્કેટથી એરગન પણ મંગાવી હતી અને દોઢ મહિના પહેલા રવિવારી બજારમાંથી એકટીવા ચોરી કરી તેનો કલર બદલ્યો હતો. પ્રથમ દિવસ એકટીવા શરૂ નહિ થતા યોજના પડતી રાખીને બીજે દિવસે લૂટ કરી.
અમદાવાદના લો ગાર્ડન પાસે ગત 10 જુલાઈના આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી રોકડ રકમની લૂટ ચલાવવામાં આવી હતી. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લુંટને અંજામ આપનાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આંગડિયા પેઢીના કર્મચારી રિક્ષામાં બેસીને રોકડ રકમ લઈ જઈ રહ્યા હતા ત્યારે એકટીવા પર આવેલા બે શખ્સોએ આંખમાં મરચાની ભૂકી ભભરાનીમે ફાયરિંગ કરી રોકડ ભરેલો એક થેલો લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી રોકડ રકમ કબજે કરી છે.
શહેરમાં થોડા દિવસોમાં અલગ અલગ બે આંગણીયા પેઢીના કર્મચારીને લૂંટવાનો બનાવો સામે આવતા પોલીસ દોડતી થઈ છે. જોકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 જુલાઈના થયેલી આંગડિયા પેઢીના કર્મચારી સાથેની લૂંટનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. ગત તારીખ 10 જુલાઈના રોજ લો ગાર્ડન પાસે આર.કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી રીક્ષામાં બેસી જઈ રહ્યા હતા.
એકટીવા પર આવેલા બે શખ્સોએ તેમને આંતરીને આંખમાં મરચાંની ભૂકી છાંટી એરગન થી હવામાં ફાયરિંગ કર્યું હતુ. બંને શખ્શો તેમની પાસે રહેલા 40 લાખ રોકડ રકમ ભરેલો થેલો લઈ નાસી છૂટ્યા હતા. આરોપીઓ નજીકના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંગડિયા લૂંટને અંજામ આપનાર બે આરોપી જફર ઈકબાલ નીયાઝ અહેમદ રંગરેઝ અને મોહંમદ જાવેદ ઉર્ફે જબ્બો મહોમદ હનીફ રંગરેઝની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસ અને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, આંગડિયા લૂંટને અંજામ આપવા માટે બંને આરોપીઓએ રિવરફ્રન્ટ રવિવારી બજારમાંથી સફેદ કલરનું એકટીવા ચોરી કર્યું હતું, જેને સ્પ્રે કલર થી કાળા કલર બનાવ્યું હતું, તેમજ ખોટી નંબર પ્લેટ લગાડી લૂંટને અંજામ આપ્યો હતો. લૂટને અંજામ આપતી વખતે આંગડિયા કર્મચારીઓને જે એરગન બતાવવામાં આવી હતી, તે પણ આરોપી જાવેદે થોડા સમય પહેલા ઓનલાઈન મંગાવી હતી.
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, પ્રથમ પ્રયાસ તેમનો સફળ થઈ શક્યો નહોતો. જે દિવસે એટલે કે 10 જુલાઈના રોજ લૂંટને અંજામ આપવામાં આવ્યો તેના એક દિવસ પહેલા એટલે કે 9 તારીખે પણ લૂંટ કરવા માટે બંને આરોપીઓએ પ્રયત્ન કર્યો હતો. પરંતુ યોગ્ય સમયે એકટીવા શરૂ નહીં થતાં લૂંટ થઈ શકી ન હતી.
પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, લૂંટને અંજામ આપવા માટે છેલ્લા ત્રણ મહિનાથી બંને આરોપીઓ જમાલપુર બ્રિજ નીચે ઊભા રહી રેકી કરતા હતા. કઈ આંગડિયા પેઢીના કર્મચારીઓ કયા વાહનમાં આવી અને કયા વાહનમાં રૂપિયા લઇ પરત ફરે છે, તેની રેકી પણ બંને દ્વારા કરવામાં આવી હતી. લૂંટને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓએ ફતેવાડી વિસ્તારમાં પહોંચી લૂંટ સમયે પહેરેલા કપડાં બદલી એકટીવાની ડેકીમાં રાખ્યા હતા. જે બાદ બંને આરોપીઓએ અલગ અલગ રિક્ષા દ્વારા પોતપોતાના ઘરે પહોંચ્યા હતા. બંને આરોપી પોતાના ઘરે પહોંચવા માટે પણ બે વખત રિક્ષાઓ બદલી હતી અને સીસીટીવી કેમેરાથી બચવા થોડી દૂર રિક્ષામાંથી ઉતરી જતા હતા.
પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2023 ના જાન્યુઆરી મહિનામાં પણ બંને આરોપી દ્વારા એક આંગડિયા લૂંટને અંજામ આપ્યો હતો. જેમાં જમાલપુર વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી પર લાકડાથી ફટકો મારી 28 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. જેમાં વપરાયેલ એકટીવા પણ આરોપીએ રિવરફ્રન્ટ રવિવારી બજારમાંથી ચોરી કર્યું હતું.
હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી 40 લાખમાંથી 35 લાખ જેટલા રોકડ રૂપિયા કબજે કર્યા છે. આરોપી મહંમદે પાંચ લાખ રૂપિયા માંથી ત્રણ લાખ રૂપિયાથી પોતાનું દેવું ચૂકતે કર્યું હતું અને એક લાખ રૂપિયા સાથીદાર જફરને આપ્યા હતા. જોકે પોલીસે સમગ્ર કેસને લઈને બંને આરોપીઓનો કબજો એલિસબ્રિજ પોલીસને સોંપ્યો છે.