LIC અને SBI બેંકે અદાણી કંપની અને તેના FPOમાં કરેલા રોકાણને લઈ કોંગ્રેસે દેશભરમાં દેખાવો કર્યા. ગુજરાતમાં એલઆઈસીની કચેરીઓ સામે કોંગ્રેસ કાર્યકરોએ દેખાવો કરતા જેપીસીની રચના અને દેશવાસીઓના એલઆઈસીમાં મુકેલ નાણાં સહી સલામત હોવાનું કેન્દ્ર સરકાર શ્વેતપત્ર બહાર પાડે એવી માંગ કરાઈ.
અદાણીમાં એલઆઇસી અને એસબીઆઇ સહિતની સરકારી બેંકોના રોકાણને લઈ કોંગ્રેસે દેશભરમાં દેખાવો કર્યા. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં એલ.આઇ.સી કચેરી સામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ધરણા યોજી કરોડો થાપણદારોની મૂડીને દાવ પર લગાવવાનું કામ કેન્દ્ર સરકારે કર્યું હોવાના આક્ષેપો કર્યા. અમદાવાદમાં રિલીફ રોડ એલઆઇસી કચેરી બહાર કરાયેલ ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતા અમિત ચાવડા સહિત અમદાવાદ શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
અદાણી કેસને લઈ કોંગ્રેસની માંગ છે કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના વડપણ હેઠળ અદાણી કેસની તપાસ થાય, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની નિમણૂંક કરવામાં આવે, એલઆઇસી, એસબીઆઈ સહિતની પીએસયુ બેંકોના અદાણીમાં રોકાણ અંગે સંસદમાં ચર્ચા થાય અને રોકાણકારોના હિતોની રક્ષા થાય. કોંગ્રેસનો દાવો છે કે અદાણીમાં રોકાણથી એલઆઈસીના 29 કરોડ અને એસબીઆઈના 45 કરોડ ગ્રાહકોના રૂપિયા દાવ પર લાગ્યા ,છે ત્યારે વડાપ્રધાન દેશવાસીઓને તેમના નાણાંને લઈ આશ્વસ્ત કરે.
ગુજરાત કોંગ્રેસના પૂર્વે પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે વડાપ્રધાને પોતાના ઉદ્યોગપતિ મિત્રની તરફદારી કરતા દેશને આર્થિક કટોકટી પર લાવી મુક્યો છે. દેશવાસીઓએ તેમની જીવનભરની બચત એલઆઈસીમાં રાખતા બેન્ક અને એલઆઈસીના 45 કરોડ ખાતાધારકોના રૂપિયા ખતરામાં આવી ગયા છે. ઈડી, ઈન્કમટેક્સનો ઉપયોગ રાજકીય હરીફોને દબાવવા કરવામાં આવે છે તો અદાણી સામે હજી સુધી ઈડી દ્વારા તપાસ કેમ નથી કરવામાં આવી રહી?
કોંગ્રેસનું કહેવુ છે કે પ્રધાનમંત્રી સાચા હોય તો દેશવાસીઓને સામે આવીને જણાવે કે અદાણી કેસમાં સરકારે શું કાર્યવાહી કરી અને દેશવાસીઓને એલઆઇસી અને એસબીઆઈના નાણાં સલામત હોવાનું સ્પષ્ટ કરે.
આ પણ વાંચો: અદાણીના મુદ્દે આજે કોંગ્રેસનું ‘હલ્લા બોલ’, SBI-LIC ઓફિસ સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનને લઈ તંત્ર એક્શનમા
અદાણી જૂથ સામેના આરોપોને લઈને કેન્દ્ર પર તેના હુમલાને વધુ તીવ્ર બનાવતા, કોંગ્રેસે રવિવારે કહ્યું હતું કે આ મુદ્દે મોદી સરકારનું બહેરાશભર્યું મૌન ગૂંચવણની નિશાની છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે રવિવારથી પાર્ટી આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રોજના ત્રણ પ્રશ્નો મૂકશે. તેમણે વડાપ્રધાનને આ મુદ્દે પોતાનું મૌન તોડવા કહ્યું છે.