અમદાવાદ મહાનગરપાલિકાને તેની જ ભાષામાં કોંગ્રેસે આપ્યો જવાબ, સુવિધા ન આપતી મનપા સામે ઢોલ વગાડી કર્યો વિરોધ- Video

અમદાવાદ મહાનગરપાલિકાએ થોડા દિવસ પહેલા ટેક્સ ન ભરનારા લોકો પાસેથી વેરો ઉઘરાવવા માટે અનોખી તરકીબ અમલમાં મુકી હતી. AMCએ ટેક્સ નહીં ભરનારાના લોકોની સોસાયટીમાં જઈ ઢોલ વગાડી તેમને જગાડ્યા હતા. બસ ટેક્સ વસુલવામાં આગળ પડતી અને સુવિધા આપવામાં પાછીપાની કરતી AMCને પણ કોંગ્રેસે આ જ ભાષામાં જવાબ આપ્યો છે.

| Edited By: | Updated on: Dec 24, 2024 | 8:01 PM

અમદાવાદ મહાનગરપાલિકામાં આજકાલ ઢોલ વગાડવાનું ચલણ શરૂ થયુ છે. ક્યારેક મનપા ટેક્સ ન વસુલતા લોકોને જગાડવા ઘરે ઘરે જઈ ઢોલ વગાડી આવે છે અને ટેક્સ ભરવા માટે લોકોને જગાડે છે તો આજે કોંગ્રેસ દ્વારા પણ અમ્યુકો.ને જગાડવા માટે તેની જ તરકીબ તેના પર જ અજમાવવામાં આવી. પ્રાથમિક સુવિધા બાબતે કોંગ્રેસે ઢોલ વગાડી વિરોધ કર્યો અને લોકોને પ્રાથમિક સુવિધા આપવા બાબતે ઉજાગર કરી. કોંગ્રેસે ઢોલ વગાડી તંત્રને પ્રાથમિક સુવિધા આપવા રજૂઆત કરી. વિપક્ષના કોર્પોરેટર્સે માથા પર કાળી રિબન બાંધી ટેક્સ ભરનારા નાગરિકોને પહેલા યોગ્ય સુવિધા આપવાની માગ કરી.

થોડાં દિવસ પહેલા AMCએ ટેકસ વસુલાત માટે વગાડ્યો હતો ઢોલ

આ અંગે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ કે સમસ્યાને સાંભળવા માટે કે તેની જાણકારી માટે AMC ક્યારેય ઢોલ નથી વગાડતી, પરંતુ હપ્તા વસુલી માટે જનતા પાસેથી ટેક્સ વસુલીના નામે તેમના ઘરની બહાર ઢોલ વગાડી રહી છે. આવુ કરી એએમસી તેમને ક્ષોભજનક સ્થિતિમાં મુકવાનું કામ કરે છે. કોંગ્રેસના તમામ કોર્પોરેટર્સે પણ એ જ પેટર્નથી કમિશનરની ઓફિસ બહાર ઢોલ વગાડ્યા અને પૂછ્યુ કે..

  • ભ્રષ્ટાચારના બ્રિજ હાટકેશ્વરના નામ પર ક્યારે ઢોલ વાગશે?
  • શુદ્ધ પાણી માટે ક્યારે ઢોલ વાગશે? રસ્તાઓના સમારકામ માટે ક્યારે ઢોલ વાગશે?
  • વટવા હાઉસિંગમાં થયેલા ભ્રષ્ટાચાર માટે ક્યારે ઢોલ વાગશે?
  • ખારીકટ કેનાલ માટે ક્યારે ઢોલ વાગશે?
  • વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે ક્યારે ઢોલ વાગશે?
  • V S હોસ્પિટલમાં સ્પે. સેવા ચાલુ કરવા માટે ક્યારે ઢોલ વાગશે?
  • હાઉસિંગના મકાનો રિપર કરવા ક્યારે ઢોલ વાગશે?

” તાકાત હોય તો અદાણીની ઓફિસ બહાર ઢોલ વગાડી બતાવે”

શહેઝાદ ખાને જણાવ્યુ કે આ એકપણ સવાલનો જવાબ અત્યાર સુધી ભાજપ કે અમ્યુકોના અધિકારીઓ પાસે નથી પરંતુ તેમને માત્ર ટેક્સ વસુલવાની જ પડી છે. તેમણે ઉમેર્યુ કે અમારી માગ છે કે જનતા પાસેથી ટેક્સ વસુલવાની આ નવી રીત જે તેમણે અપનાવી છે, જેમા ગરીબ અને મધ્યમ વર્ગને જ માધ્યમ બનાવવામાં આવી રહ્યા છે. તે બંધ થવુ જોઈએ. વિપક્ષના નેતાએ આરોપ લગાવ્યો કે અદાણી જેવા ઉદ્યોગપતિઓનો 20 કરોડથી વધુનો ટેક્સ બાકી છે, ત્યારે ક્યા અધિકારીમાં તાકાત છે કે તેમની ઓફિસની બહાર જઈને ઢોલ વગાડી ટેક્સ વસુલે?

આપને જણાવી દઈએ કે AMC દ્વારા થોડા દિવસ અગાઉ સવારના ઢોલ અનેક ટેક્સ ન ભરનારાઓની સોસાયટીમાં જઈને જોરજોરથી ઢોલ વગાડી તેમને ટેક્સ ભરવા માટે તાકીદ કરાઈ હતી. ત્યારે વિપક્ષ પણ AMCને તેની જ રીત અપનાવી પહેલા સુવિધા આપવાની રજૂઆત કરતી આજે જોવા મળી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:53 pm, Tue, 24 December 24