પોલીસનું (Police) કામ લોકોની રક્ષા કરવાનું અને જનમિત્ર બનીને રહેવાનું છે ત્યારે મહારાષ્ટ્રની પરિવારથી નારાજ પરિણિતાને અમદાવાદમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની (Anti Human Trafficking Unit ) ટીમે એક સ્વજનની જેમ પરિણીતા પ્રિતી (નામ બદલેલું છે) ને સમજાવી હતી અને મહારાષ્ટ્ર (Maharashtra) ના તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. અને તેના પરિવાર સાથે પરત મોકલી હતી. ઘણા બાળકો અને યુવાનો અપરિપકવ અવસ્થામાં પરિવાર સાથે કલેશ થતા ઘર છોડીને નીકળી જતા હોય છે અને આવી પરિસ્થિતમાં તેઓ એવા હાથમાં જઈ ચઢતા હોય છે જ્યાં તેમનુ ભવિષ્ય ધૂળધાણી થઈ જતું હોય છે. જોકે પોલીસની ટીમ તથા એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આવા બાળકો અને યુવાનોનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવતું હોય છે.
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જામનેર પોલીસ મથકમાં 21 વર્ષીય પ્રીતિ (નામ બદલ્યું છે) નામની પરિણીતા ગુમ થઈ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ અંગેની માહિતી અમદાવાદ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ (Anti Human Trafficking Unit ) યુનિટના અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ અને (Anti Human Trafficking Unit) દ્વારા યુવતીને શોધવા માટે તપાસ હાથ ધરી હતી. તેમજ યુવતીના મોબાઇલ નંબરને ટેકનિકલ સર્વેલન્સમાં નાંખી ને યુવતીનું ઠેકાણું શોધી કાઢ્યું હતું.
પોલીસની ટીમને તપાસ દરમિયાન જાણ થઈ હતી કે પ્રીતિ મહારાષ્ટ્રથી આવ્યા બાદ અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહે છે આથી પોલીસ મણિનગર પહોંચી હતી. જયાં આવેલી ગીતા રેસિડન્સી માંથી પ્રીતિ મળી આવી હતી. પ્રીતિ અહીં અનય્ યુવતીઓ સાથે પીજીમાં રહેતી હતી. પોલીસની ટીમ મહિલા પોલીસને સાથે રાખીને પ્રિતી પાસેથી સમગ્ર વિગતો જાણી હતી કે તે શા માટે પરિવાર છોડી ને આવી હતી.
પોલીસને પ્રાથમિક વાતચીતમાં માહિતી મળી હતી કે પ્રીતિ તેના પરિવારથી નારાજ છે અને આ 21 વર્ષીય યુવતીને લગ્નજીવન તેમજ પરિવાર અંગેના પ્રશ્નો હતા. યુવતી કોઈ અન્ય યુવકને પસંદ કરતી હતી પરંતુ માતા પિતાએ અન્યત્ર લગ્ન કરાવતા યુવતી નારાજ હતી અને આ કારણોસર જ તે ઘરેથી નીકળી ગઈ હતી અને નારાજગીને કારણે તે પરિવાર છોડીને અમદાવાદ આવી ગઈ હતી. આ તમામ હકીકતો જાણ્યા બાદ તેનું અમદાવાદ ક્રાઇમબ્રાંચ ખાતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ બાદ પ્રીતિ તેના પરિવાર સાથે જવા રાજી થઈ ગઈ હતી તેથી તેનું કાયદેસર નિવેદન નોંધીને પોલીસે જામનેર પોલીસનો સંપર્ક કરીને પ્રીતિના પરિવારને જાણ કરી હતી કે પ્રીતિ અહીં સુરક્ષિત છે.
આ માહિતી મળ્યા બાદ મહારાષ્ટ્રના જામનેરની પોલીસ પ્રીતિના પરિવારજનોને લઇને અમદાવાદ અવી હતી અને અમદાવાદ પોલીસ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે પ્રીતિની સોંપણી તેના પરિવારને કરી હતી. આમ, અમદાવાદ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવીને આ પરિણિતાનું પરિવાર સાથે મિલન કરાવીને ફરજનિષ્ઠા ઉપરાંત સામાજીક સેવાનું પણ પ્રશંસનીય કામ કર્યું હતું.
Published On - 6:07 pm, Sun, 17 July 22