અમદાવાદ (Ahmedabad) માં હવે કાચ તોડ ગેંગનો આતંક સામે આવ્યો છે. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં વેપારીની કારના કાચ તોડી 15 લાખની લૂંટ મચાવી આ ગેંગ ફરાર થઈ હતી. ધોળા દિવસે આ ટોળકીએ અનેક લોકોની હાજરીમાં આ ચોરી (Theft) ને અંજામ આપતા શહેર પોલીસ દોડતી થઈ છે અને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. તહેવારો (Festivals)ના સમયે આવી ચોર ટોળકી સક્રિય થતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. વસ્ત્રાપુર અને એલિસબ્રિજમાં કાચ તોડ ટોળકીનો આતંક વધતા લોકોને જાગૃત રહેવાની પોલીસે અપીલ કરી છે.
હાલ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે તહેવારોની ખરીદી કરવા રોકડા રૂપિયા લઈને નીકળતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. કિમતી વસ્તુઓ કારમાં મુકીને બેદરકારી દાખવશો તો પસ્તાશો કારણ કે અમદાવાદમાં કાચતોડ ગેંગ ભરબજારમાંથી કારના કાચ તોડી ચોરીને સિફતતાથી અંજામ આપી આંખના પલકારામાં પલાયન થઈ જાય છે. પાર્ક કરેલા વાહનના દરવાજાનો કાચ તોડીને અંદરથી કિમતી વસ્તુઓ ચોરી લે છે.
વસ્ત્રાપુર અને એલિજબ્રિજ વિસ્તારમાં આ પ્રકારે જ ચોરીને આ ગેંગ અંજામ આપી ચુકી છે. એલિસબ્રિજના કલગી ચાર રસ્તા પાસે ખાદી ઉદ્યોગમાં ખરીદી કરવા આવેલા એક વેપારીએ ગાડીમાં રૂપિયા 13 લાખની રોકડ અને 2 લાખની સોનાની લગડી મુકી હતી. ત્યારે ચોર ટોળકી કાચ તોડી ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ છે. પોલીસે હાલ ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી છે.
વસ્ત્રાપુરમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી રૂપિયા 14 લાખની ચોરી થઈ છે. બાઈક પર આવતી આ ટોળકી પાર્ક કરેલા વાહનની નજીક જઈને કારના દરવાજાનો કાચ તોડીને કિમંતી વસ્તુઓ ચોરીને ફરાર થઈ જાય છે. આ ગેંગને પકડવા એલિસબ્રિજ અને વસ્ત્રાપુર પોલીસે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. મહત્વનુ છે કે દિવાળીનો તહેવાર નજીક હોવાથી આ ટોળકી બજારો અને બેન્કની બહાર સક્રીય હોય છે. જે લાખો રૂપિયા લઈને નીકળતા લોકોની રેકી કરીને ચોરીને અંજામ આપતા હોય છે. જેથી આ ટોળકીથી સાવચેત રહેવા પોલીસે લોકોને અપીલ કરી છે.
Published On - 8:25 pm, Thu, 6 October 22