
અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં ફરી એકવાર દૂષિત પાણી આવવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર, નર્મદાના પાણીમાં ગટરના પાણી મિક્સ થઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.
છેલ્લા બે દિવસથી પીવાનું પાણી દૂષિત આવવાના લીધે આનંદ સેફાયર, એરિસ્ટો બ્લિશ, શ્રી હોમ, એરિસ્ટો અલાયમ, વિકટરી સનરાઇઝ અને સરલ રેસિડેન્સી સહિતની 7થી વધુ સોસાયટીઓના રહીશો ભારે પરેશાન છે. નોંધનીય છે કે, તેમને બહારથી પીવાનું પાણી મંગાવવાની ફરજ પડી રહી છે. આ બાબતે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, એએમસી (AMC) ને ફરિયાદ મળતા જ અધિકારીઓ ગોતા વિસ્તારમાં પહોંચ્યા હતા અને કોર્પોરેશન દ્વારા પાણીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ બધા વચ્ચે સ્થાનિકોનો આરોપ છે કે, તંત્ર આ મામલે ખૂબ જ ગોકળગતિએ કામ કરી રહ્યું છે.
આ ઘટના બાદ સ્થાનિક જનતા તંત્ર સામે લાલઘૂમ થઈને સીધા સવાલો પૂછી રહી છે. લોકો આક્રોશ સાથે પૂછી રહ્યા છે કે, શું AMCના અધિકારીઓને કામ કરવાનું જોર આવે છે? છેલ્લા બે દિવસથી 7થી વધુ સોસાયટીના લોકો ગટરનું પાણી વાપરવા અને બહારથી પીવાનું પાણી મંગાવવા મજબૂર છે, છતાં તંત્ર કેમ હજુ સુધી ઘોર નિંદ્રામાં છે?
રોગચાળાનો આટલો મોટો ખતરો માથા પર ભમતો હોવા છતાં કોર્પોરેશન આટલી આળસ કેમ દાખવી રહ્યું છે? ફરિયાદ મળ્યા પછી પણ માત્ર સેમ્પલ લઈને બેસી રહેવું એ શું સાબિત કરે છે? અધિકારીઓમાં કામ કરવાની દાનત જ નથી કે પછી જનતાના સ્વાસ્થ્યની કોઈ કિંમત જ નથી? જો ટેક્સ સમયસર વસૂલવામાં આવે છે, તો પછી સુવિધાના નામે જનતાને આવું ઝેર પીવડાવવામાં AMCને જરાય શરમ નથી આવતી?
Published On - 3:41 pm, Mon, 6 July 26