Ahmedabad : રાજ્યમાં મેડિકલ અને પેરામેડીકલના પ્રવેશ અંગે ગૂંચવણ ઉભી થઇ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયાના દોઢ મહિના બાદ પણ પ્રવેશ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિજ્ઞાન પ્રવાહ બાદ ફિઝીયોથેરાપી, બીએસસી નર્સિંગ, જીએનએમ સહિતના કોર્સમાં ધોરણ 12ના પરિણામના આધારે પ્રવેશ પ્રક્રિયા કરવાની હોવા છતાં પણ પ્રવેશમાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે નર્સિંગ, ફિઝીયોથેરાપી સહિતના પેરામેડીકલ કોર્સની પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવે.
મેડીકલમાં પ્રવેશ માટેની નિટની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજાનાર છે.જેના કારણે મેડીકલમાં હજી સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી.પરંતુ ફિજીયોથેરાપી, બીએસસી નર્સિંગ, જીએનએમ સહિતના પેરામેડીકલ કોર્સમાં ધોરણ 12ના પરિણામના આધારે પ્રવેશ પ્રક્રિયા કરવાની હોય છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયાના દોઢ મહિના થઈ ગયા છે.પરંતુ પ્રવેશ કમિટી દ્વારા હજી સુધી પેરામેડીકલ કોર્ષમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં નથી આવી.પ્રવેશ પ્રક્રિયા શરૂ ના થતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે.વિદ્યાર્થીઓની માંગ છે કે સરકાર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરે તો વિદ્યાર્થીઓની ચિંતા હળવી થશે.
કોરોનાને કારણે ચાલુ વર્ષે નિટની પરીક્ષા યોજવામાં વિલંબ થયો છે.જેના કારણે મેડિકલની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ શકે તેમ નથી.પરંતુ પેરામેડીકલની પ્રવેશ પ્રક્રિયા માટે નિટની જરૂર નથી.માત્ર ધોરણ 12ના આધારે પ્રવેશ પ્રક્રિયા થવાની છે.
ત્યારે આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ માંગ કરી છે કે સરકારે તમામ પ્રવેશ પ્રક્રિયાને લઈને તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ.પ્રવેશ પ્રક્રિયામાં ગૂંચવણને કારણે વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે.સરકારે છેલ્લા પાંચ વર્ષની પ્રવેશ પ્રક્રિયાનો અભ્યાસ કરી વિદ્યાર્થીઓને સરળ રીતે પ્રવેશ મળે તેવું આયોજન કરવું જોઈએ. પરંતુ પ્રવેશ બાબતે સરકારે કોઈ આયોજન ના કરતા દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ત્રણ તકો છે.જેમાં બીએસસી, ફાર્મસી, મેડિકલ અને પેરામેડીકલનો સમાવેશ થાય છે.ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા ગુજસેટના આધારે થાય છે જે માટે રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે.મેડિકલની પ્રક્રિયા નીટના આધારે થાય છે.
નીટની પરીક્ષા હજી સુધી ના લેવાતા પ્રક્રિયા શરૂ થઈ નથી.જ્યારે પેરામેડીકલમાં 12માં ધોરણના માર્કસના આધારે જ પ્રવેશ પ્રક્રિયા થાય છે.12માં ધોરણનું પરિણામ દોઢ મહિના પહેલા આવી ગયું છે.છતાં પણ હજી સુધી પ્રવેશની કોઈ પ્રક્રિયા શરૂ કરવામાં નથી આવી.
Published On - 7:08 am, Mon, 30 August 21