Ahmedabad : સોશિયલ મીડિયાનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ ગણતરીની મિનિટોમાં જ થઈ શકે છે. અને આવું જ કંઈક બન્યું અમદાવાદના એક નિરાધાર વૃદ્ધ સાથે.
ટ્વીટર પર અમદાવાદના એક જાગૃત નાગરિકે ટ્વીટ કર્યું કે અમદાવાદ શહેરમાં એક વૃધ્ધ ,નિરાધાર, દિવ્યાંગ વ્યક્તિ અત્યંત લાચાર પરિસ્થિતીમાં પીડાઈ રહ્યા છે. અને તે દૈનિક ક્રિયાઓ પણ જાતે કરી શકતા નથી. જેને કારણે વૃધ્ધજન એક જગ્યાએ પડી રહેવાના કારણે ગંદકીની હાલતમાં સબડી રહ્યા હતા.
બસ આ ટ્વીટ જોઈને અમદાવાદ જિલ્લા અધિક કલેકટર હર્ષદ વોરાએ વૃદ્ધનું લોકેશન માંગ્યું. અને લોકેશન મળતા વૃદ્ધને બનતી તમામ મદદ કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યા. અધિક કલેકટરના આદેશ બાદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગની ટીમ વૃદ્ધના ઘરે ગણતરીની મિનિટોમાં જ પહોંચી ગઈ. અને વૃદ્ધના ઘરે પહોંચેલી સમાજ સુરક્ષા વિભાગની ટીમ વૃદ્ધની હાલત જોઈ શોકની સ્થિતિમાં મુકાઈ ગઈ.
સમાજ સુરક્ષા વિભાગની ટીમે તુરંત જ જિલ્લા અધિક કલેકટરને રિપોર્ટ આપ્યો કે વૃદ્ધનો એક પગ કપાયેલી હાલતમાં છે. અને દિવ્યાંગ ભરતભાઈ અત્યંત જીર્ણ-શીર્ણ હાલતમાં એક ખૂણામાં પડી રહ્યા છે. તેમને ન કોઈ સાથ છે ન કોઈનો સંગાથ. દિવ્યાંગ હોવાને કારણે વૃદ્ધ કૂદરતી ક્રિયાઓ ત્યાંજ કરી હોવાને કારણે ગંદકીથી ખદબદતી જગ્યાએ કણસી રહ્યા છે.
આ સાંભળી તુરંત જ જિલ્લા અધિક કલેકટર હર્ષદ વોરાએ ટીમને આદેશ આપ્યા કે આ વૃદ્ધને તુરંત જ જરૂરી સારવાર કરાવી આશ્રય ગૃહમાં લઈ આવો. અધિક કલેકટરના આદેશ બાદ તુરંત જ ટીમ દ્વારા વૃદ્ધને ઓઢવ આશ્રય ગૃહમાં આશરો આપવામાં આવ્યો.
Published On - 6:06 pm, Tue, 1 June 21