જય રણછોડ, માખણ ચોર, જય જગન્નાથના નારા સાથે ભક્તિભાવ ભર્યા માહોલમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી 149મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. મંદિર પરિસર અને પરિસરની બહાર ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે.
અમદાવાદના જગન્નાથ મંદિરે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પહિંદ વિધિ કરી હતી. પહિંદ વિધિ બાદ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રથ ખેચીને 149મી રથયાત્રાનુ પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રાની પહિંદ વિધી માટે જગન્નાથ મંદિરે પહોચ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પહિંદ વિધી કરીને રથ ખેંચીને મંદિરના પટાગણમાંથી બહાર કાઢીને 149મી રથયાત્રાનો પ્રારંભ કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલાવેલ ડ્રાયફુટમાંથી ભગવાન માટે બનાવાયો છે પ્રસાદ. રથયાત્રા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગઈકાલ બુધવારના સાંજે જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો હતો. જાંબુ, દાડમ, કાકડી, ડ્રાયફ્રૂટ, કેરી સહિત આઠ બોક્સમાં પ્રસાદ ધરાવાયો હતો. દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રથયાત્રાના આગલા દિવસે પ્રસાદ મોકલાવે છે.
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, અમદાવાદના જગન્નાથ મંદિરે પહોચ્યા છે. તેઓ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે પહિંદ વિધી માટે જોડાશે અને પહિંદ વિધી બાદ રથ ખેચીને 149મી યાત્રાનો પ્રારંભ કરાવશે.
આજે રથયાત્રાના પાવન પર્વે, મંગળા આરતી બાદ ભગવાનને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. 1 લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ બનાવાયો છે. ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને તૈયાર ખીચડો તૈયાર કરવામાં આવે છે. મોસાળ ગયા હતા ત્યારે જાંબુ અને કેરી ખાવાથી ભગવાનને આંખો આવી ગઈ હોવાથી ભગવાનની આંખો સાજી થાય તેવા ભાવ સાથે ખીચડાનો ભોગ ધરાવાય છે.
અમદાવાદના જગન્નાથ મંદિરે આજે વહેલી સવારે મંગળા આરતી બાદ, મહંત દિલીપદાસજીના હસ્તે, ભગવાન જગદીશ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામની પ્રતિમા મંદિરમાંથી રથમાં બિરાજમાન કરવામાં આવી છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરેથી આજે અષાઢી બીજને 16 જુલાઈને ગુરુવારના રોજ 149મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગદીશ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલદેવ ભાવિક ભક્તજનોને દર્શન દેવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. આજે વહેલી પરોઢના મંગળા આરતી બાદ, જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીના હસ્તે ભગવાન જગદીશ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામ, મંદિરના પ્રાંગણમાં રહેલા ત્રણેય રથ ઉપર સવાર થયા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા પહિંદ વીધી કરાયા બાદ, નીજ મંદિરથી 149મી રથયાત્રાનો જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા સાથે પ્રારંભ થયો હતો.
Published On - 5:55 am, Thu, 16 July 26