અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોડકદેવથી સાઉથ બોપલ સુધીના પટ્ટામાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે. તો બીજી તરફ પૂર્વ વિસ્તારમાં ખોખરા અને આસપાસના પટ્ટામાં કેસો સામે આવી રહ્યાં છે. મ્યુનિસિપલે શહેરની ૧૭ સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકી હતી. જે પૈકી સાઉથ બોપલની ત્રણ સોસાયટી સફલ પરિસર ૧, આરોહી હોમ્સ, આરોહી રેસીડેન્સી અને બોડકદેવના એસજી હાઇવેના સેન્ચ્યૂરી ટાવરમાં મળીને ૫૦થી વધુ કેસ નોંધાયા છે. જેથી આ ચારેય સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકી દેવાઇ છે.
બોડકદેવમાં પ્રેમચંદનગર બાદ સેન્ચ્યુરી ટાવરમાં પણ કેસો વધી રહ્યાં છે. બીજી તરફ પૂર્વ વિસ્તારના ખોખરા અને કુબેરનગરની પાંચ જેટલી સોસાયટીઓમાં ૭૦થી વધુ કેસ નોંધાયા છે. જેથી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવાની ફરજ પડી હતી. શહેરના રાણીપ, ચાંદખેડા, મોટેરા, ઘાટલોડિયા, ગોતા સહિતના વિસ્તારોમાં એવી મોટી સોસાયટીઓ છે જેમાં જુદા-જુદા બ્લોકમાં ૧૦થી ૧૫ કેસ હોય છતાં પણ તે માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાઇ નથી. જ્યારે એક જ સોસાયટીના એક જ બ્લોકમાં જુદા-જુદા મકાનોમાં ૧૦ કેસ આવે તો સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકી દેવાય છે. હાલ તો સાઉથ બોપલની જુદી-જુદી સોસાયટીઓમાં ૫થી લઇ ૧૦ જેટલા કેસ સામે આવી રહ્યાં છે પણ જે સોસાયટીઓમાં વધુ કેસ છે તેવી ત્રણ સોસાયટીને કન્ટેનમેન્ટ કરાઇ છે.
તો બોડકદેવમાં આવેલા સેન્ચુયરી ટાવરમાં મ્યુનિસિપલે 64 મકાનને કન્ટેઈનમેન્ટમાં મૂક્યા છે. ત્યાં અત્યારે 11 જેટલા કેસ નોંધાયા છે. તો સોલા ભાગવત પાસે આવેલા સુદર્શન ગ્રીનને પણ મ્યુનિ.એ કન્ટેઇન્ટમેન્ટમાં મુક્યું છે. જ્યાં 20થી વધુ કેસ હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું છે. આ ઉપરાંત વિરાટનગરના જયરાજ ફ્લેટમાં મ્યુનિ.એ 60 જેટલા ફ્લેટને કન્ટેઇન્ટમેન્ટમાં મુક્યા છે જ્યાં 8થી વધારે કેસો નોંધાયા છે. આ ઉપરાંત સરદારનગર, કુબેરનગરમાં પણ કેટલાક કેસ નોંધાયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો