લગ્ન પ્રસંગે 50 – મરણ પ્રસંગે 20 વ્યક્તિઓની છુટ ઉપર મૂકાઈ શકે છે કાપ, સુઓમોટો રીટની હાથ ધરાઈ સુનાવણી
એડવોકેટ એસોસિએશન વતી, ગુજરાત હાઈકોર્ટમાં એવી રજુઆત કરાઈ હતી કે, લગ્ન પ્રસંગમાં સરકારે જે 50 વ્યક્તિની છુટછાટ આપી છે ઘટાડો કરવો જોઈએ. મરણ પ્રસંગે અપાયેલી 20 વ્યક્તિઓની છુટ પણ વધુ છે તેમાં પણ ઘટાડો કરવો જોઈએ.
ગુજરાતમા કોરોનાની કપરી સ્થિતિમાં ગુજરાત સરકારની કામગીરીને લઈને, ગુજરાત હાઈકોર્ટે ( Gujarat High Court ) દાખલ કરેલ સુઓમોટો ( Suomoto writ ) રીટની આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ, એડવોકેટ એસોસિએશને પણ કેટલીક રજુઆત કરી હતી.
ગુજરાત હાઈકોર્ટ સમક્ષ, એડવોકેટ એસોસિએશન વતી રજુઆત કરતા શાલિન મહેતાએ કહ્યું હતુ કે, ગુજરાતમાં હજુ કોરોનાની લહેર ઓસરી નથી. આ સંજોગોમાં લગ્ન સમારંભ ઉપર 15 દિવસનો પ્રતિબંધ મૂકવો જોઈએ. 15 દિવસ સુધી ગુજરાતમાં કોઈ લગ્ન પ્રસંગ ના યોજાય તો લોકો સામાજીક રીતે દૂર રહે.
આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં સરકારે જે 50 વ્યક્તિની છુટછાટ આપી છે તેમાં પણ ધટાડો કરવો જોઈએ. એડવોકેટ એસોસિએશન વતી એવી પણ રજુઆત કરાઈ હતી કે મરણ પ્રસંગે અપાયેલી 20 વ્યક્તિઓની છુટ પણ વધુ છે તેમાં પણ ધટાડો કરવો જોઈએ.
એડવોકેટ એસોસિએશન દ્વારા કરાયેલા આ રજુઆત સંદર્ભે ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે, લગ્ન પ્રસંગ જેવા શુભ પ્રસંગોએ એકત્ર થનારાઓની સંખ્યા ઘટાડવા માટે રાજ્ય સરકાર વિચારણા કરશે.
આ પૂર્વે સુઓમોટો રીટ સંદર્ભે ગુજરાત સરકારે ગત મોડી સાંજે કરેલા સોગંદનામા અંગે ગુજરાત હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, સોગંદનામું હમેશાં ઓફિસે જ ફાઇલ થવું જોઈએ. જો નિવાસસ્થાને સોગંદનામું ફાઇલ કરવા આવો છો તો પછી સંબધિત અધિકારીની ઉપસ્થિતિ ફરજિયાત છે. આમ છતા સંબધિત અધિકારી સોગંદનામા સમયે હાજર રહેતા નથી. સોગંદનામુ જે માળખામાં રજૂ કર્યુ છે તે માળખુ યોગ્ય નથી તેવી ટકોર પણ હાઈકોર્ટે કરી હતી.
ગુજરાત હાઈકોર્ટમાં ( Gujarat High Court ) ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે, કોરોનાની ( corona ) ગંભીર સ્થિતિ અંગેની સુઓમોટો રીટની ( Suomoto writ ) સુનાવણી કરે છે.