Internationl Yoga Day: હાલના સમયમાં શરીરને ફિટ અને તંદુરસ્ત રાખવા માટે એક્સરસાઈઝ ખૂબ જરૂરી છે. કોરોનાએ લોકોને ફિટનેસનું (Fitness) મહત્વ સમજાવ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21 જૂને વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાખવા માટેનું એક વિશેષ કારણ એ છે કે આ તારીખ સૌથી લાંબો દિવસ છે, તેથી તેનું વિશિષ્ટ મહત્વ છે.
11 ડિસેમ્બર, 2014ના રોજ ભારતના કાયમી પ્રતિનિધિ અશોક મુખર્જીએ યુનાઈટેડ જનરલ એસેમ્બલીમાં ઠરાવનો મુસદ્દો રજૂ કર્યો અને તેને 177 સભ્ય દેશોનો મોટો ટેકો મળ્યો અને તેને વિશેષ દિવસ તરીકે સ્વીકારવામાં આવ્યો. 11 ડિસેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રોએ ઠરાવ 69/131 દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો.
યોગા દિવસનું મહત્વ
યોગ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે. તેનો અર્થ જોડાવા અથવા એક થવાનો છે. યોગએ શરીર અને ચેતનાનું મિશ્રણ છે. તે રોજિંદા જીવનમાં સંતુલિત જીવનશૈલી જાળવે છે. 15 જૂન, 2015ના રોજ વૈશ્વિક સ્તરે યોગનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવ્યો હતો. ભારતના આયુષ મંત્રાલયે એક કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પીએમ મોદી સાથે 84 રાષ્ટ્રોના મહાનુભાવોએ ભાગ લીધો હતો. રાજઘાટ, નવી દિલ્હી ખાતે કુલ 35,985 લોકોએ યોગા કર્યા હતા.
કોરોનાના કારણે 2020માં થીમ ‘ઘર પર યોગા અને પરિવાર સાથે યોગા’ રાખવામાં આવી છે. જ્યારે આખું વિશ્વ રોગચાળામાં સંપડાયું છે, ત્યારે યોગ લોકોને રાહત અને તંદુરસ્ત રહેવાની આશાની કિરણો આપે છે. માનસિક અને સામાજિક કાળજી અને સંભાળ રાખવા આ મહામારીના સમયમાં યોગ મહત્વની ભૂમિકા ભજવશે.
કોવિડ -19 દર્દીઓમાં હતાશા અને અન્ય માનસિક સમસ્યાઓ જોવા મળી છે. તેથી તેમાં છુટકારો મેળવવા માટે યોગ એ એક યોગ્ય રસ્તો છે. ઉપરાંત, સારી ઈમ્યુનિટી હોય તો શરીર વાયરસ સામે લડી શકે છે અને બિમારીથી સુરક્ષિત થઈ શકે છે. વિવિધ યોગ મુદ્રાઓ ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)