Teaser of Adipurush : કોરોના મહામારીને કારણે બંધ પડેલી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરી બેઠી થઈ છે. એક પછી એક ફિલ્મો રિલિઝ થઈ રહી છે. અને દર્શકો તેનો આનંદ માણવા પણ જઈ રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસ તેમની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને સતત ચર્ચામાં છે. તેમના ફેન્સ આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોતા હતા. ફેન્સને આ ફિલ્મથી ઘણી અપેક્ષા છે. આ ફિલ્મ બિગ બજેટ છે. ફિલ્મ મેકર્સે આ ફિલ્મ પાછળ કરોડો રુપિયા ખર્ચા છે. આદિપુરુષની વાર્તા રામાયણ પર આધારિત છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 12 જાન્યુઆરી, 2023ના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પણ તે પહેલા ફિલ્મ પ્રમોશન માટે સૌથી પહેલા અયોધ્યાને (Ayodhya) પસંદ કરવામાં આવ્યુ છે.
અયોધ્યામાં આદિપુરુષ ફિલ્મની પહેલી ઝલક જોવા મળશે. આ ફિલ્મની ઈવેન્ટ માટે મોટા સ્તર પર તૈયારીઓ શરુ થઈ છે. કાલે 2 ઓક્ટોમ્બરના રોજ અહીં મોટો કાર્યક્રમો થશે. આ કાર્યક્રમમાં પ્રભાષ, ઓમ રાઉત, કૃતિ સેનન અને પ્રોડ્યુસર ભૂષણ કુમાર પણ હાજર રહેશે. આ કાર્યક્રમ અયોધ્યામાં સરયૂ તટ પર થશે. તેના માટેનો સેટ તૈયાર થઈ રહ્યો છે.તે તૈયારીઓની પહેલી ઝલક પણ સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, આ કાર્યક્રમમાં ફિલ્મના પહેલા ટીઝર અને ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી જાણવા મળશે. આ દરમિયાન ફિલ્મની પૂરેપૂરી કાસ્ટ આ કાર્યક્રમમાં હાજર રહેશે. રામાયણના આધાર પર બનેલી આ ફિલ્મ માટે અયોધ્યાથી સારી કોઈ જગ્યા હોય જ ન શકે. અયોધ્યાનું સ્થાન ભારતીયનો દિલમાં છે. અયોધ્યા માટે હિન્દુઓમાં ઊંડી આસ્થા છે. આ જ સ્થાન પર ભગવાન રામનો જન્મ થયો હતો. રામ મંદિર બનાવવાની લડાઈ પણ આ જ સ્થળેથી શરુ થઈ હતી. તેથી જ આ ફિલ્મના પ્રમોશન માટે મેકર્સે અયોધ્યાને પસંદ કર્યુ છે.
આદિપુરુષ સિવાય પણ ઘણી ફિલ્મો રામાયણના આધાર પર બનીને ભવિષ્યમાં સામે આવશે. બોલિવૂડના ઘણા મેકર્સ આ બાબતે વિચાર પણ કરી રહ્યા છે. બસ તેની આધિકારીક જાહેરાત કરવાની બાકી છે. આદિપુરુષ ફિલ્મ બનાવવા માટે લગભગ 500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.