અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે તે આજે દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસ પહોંચી છે. જ્યાં 200 કરોડની છેતરપિંડીના કેસમાં તેની પૂછપરછ થવાની છે. આ મામલો સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત છે. જેની સાથે જેકલીનના ઘણા ઈન્ટીમેટ ફોટોગ્રાફ્સ મીડિયામાં વાયરલ થયા હતા.
જેકલીનને તાજેતરમાં જ ED દ્વારા આ કેસમાં ફરીથી પૂછપરછમાં જોડાવા માટે નોટિસ મોકલવામાં આવી હતી. 5 ડિસેમ્બરે તેમને વિદેશ જતા વિભાગે પણ અટકાવી દીધા હતા. જેકલીન જ્યારે એરપોર્ટ પર પહોંચી ત્યારે તેને રોકી દેવામાં આવી હતી. જેકલીન શ્રીલંકાની નાગરિક છે અને તેના દેશની બહાર ભાગી જવાની આશંકાથી તેને એરપોર્ટ પર રોકવામાં આવી હતી.
મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા સુકેશ ચંદ્રશેખર અને જેક્લિનની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી. આ તસવીરો બંનેની નિકટતા બતાવવા માટે પૂરતી હતી. સુકેશ ઘણી વખત જેક્લિનને મળ્યા હતા અને તેને જેક્લિનને મોંઘી ગિફ્ટસ પણ આપી હતી. આ વાતનો ખુલાસો ઘણા રિપોર્ટસમાં થયો છે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેની અને સુકેશની નિકટતાએ તેને આ કેસમાં ફસાવી દીધી છે. ઈડીએ આ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી, જેમાં ઘણા ખુલાસા થયા હતા.
આ રિપોર્ટમાં તે તમામ ગિફ્ટ અને તેમની કિંમતનો ઉલ્લેખ છે અને જણાવવામાં આવ્યું છે કે સુકેશે જેક્લિન ફર્નાન્ડીઝને લગભગ 10 કરોડ રૂપિયાની ગિફ્ટ આપી છે. જેમાં 52 લાખનો ઘોડો અને 9 લાખની કિંમતની એક પર્શિયલ બિલાડી પણ છે. એટલું જ નહીં તેને નોરા ફતેહી પર પણ ઘણા રૂપિયા ખર્ચ કર્યા હતા. નોરાને BMW ગાડી અને એક આઈફોન આપ્યો હતો. ઈડી પોતાની ચાર્જશીટને એક કોર્ટમાં રજૂ કરતા આ જાણકારી આપી. ચંદ્રશેખર પર તિહાર જેલમાં બંધ રહીને એક મોટા ઉદ્યોગપતિની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી લેવાનો આરોપ છે.
સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ બેંગ્લોર અને ચેન્નાઈમાં 15 FIR નોંધાઈ છે. તે મોટા ઉદ્યોગપતિઓને લોન અપાવવાના બહાને પૈસા લેતો અને તેમના કાયદેસરના કેસ પતાવી દેતો અને પછી પૈસા લઈને ગાયબ થઈ જતો. 2019માં પોલીસે તેની ધરપકડ કરી હતી. દિલ્હીની તિહાર જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ પણ તે જેકલીનને ચેન્નાઈમાં મળ્યો હતો અને જે તસવીરો વાયરલ થઈ છે તે તેના ફોનમાંથી લેવામાં આવી હતી.
જેક્લિન ફર્નાન્ડીઝની વિરૂદ્ધ ઈડીએ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી, તેની 200 કરોડ રૂપિયાના ખંડણીકેસ મામલે પૂછપરછ ચાલી રહી છે. જેમાં તેમનું નામ સુકેશ ચંદ્રશેખરની સાથે જોડવામાં આવી રહ્યું છે. જેક્લિન પર હવે ભારતથી બહાર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેનાથી તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. તેમની ફિલ્મોના શુટિંગ પર પણ તેની અસર પડશે. જ્યાં સુધી કેસની તપાસ ચાલી રહી છે, ત્યાં સુધી જેક્લિન પર આ પ્રતિબંધ લાગુ રહેશે.
આ પણ વાંચો: NTPC Jobs: NTPCમાં નોકરી મેળવવાની તક, માસ કોમ્યુનિકેશન અને IT કરેલા માટે ભરતી
આ પણ વાંચો: Agriculture Engineeringમાં ઉત્તમ કારકિર્દી બનાવો, તમને તરત જ મળશે નોકરી, જાણો તમામ વિગતો
Published On - 12:25 pm, Wed, 8 December 21