કેન્દ્રીય મંત્રીમંડળની બુધવારે યોજાનારી બેઠક સ્થગીત કરવામાં આવી છે. આ સાથે આર્થિક બાબતો અંગેની મંત્રીમંડલીય સમિતિની બેઠક પણ સ્થગિત કરી દિધી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફિલ્મ અભિનેતા દિલીપમકુમારના નિધનને કારણે સવારે 11 વાગ્યે યોજાનારી આ બેઠકોને સ્થગિત કરવામાં આવી છે.
લાંબી બીમારી બાદ દિલીપકુમારનું આજે સવારે મુંબઇની એક હોસ્પિટલમાં નિધન થઈ ગયું, તેઓ 98 વર્ષનાં હતા દાદાસાહેબ ફાલ્કે, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા અનેક સન્માનથી સન્માનિત દિલીપકુમાર વર્ષ 2000 માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. અવિભાજિત ભારતના પેશાવરમાં 1922 માં જન્મેલા દિલીપકુમારને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ નિશન-એ-ઇમ્તિયાઝથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રીમંડળનો વિસ્તાર આજે
કેન્દ્રીય મંત્રીમંડળનો આજે સાંજે 6 વાગ્યે વિસ્તરણ થવાનું છે, જેમાં ઘણા મોટા ફેરફારો થવાની સંભાવના છે. મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં કેન્દ્રીય કેબિનેટની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીમંડલ નવા બદલાવ પછી સૌથી યુવા મંત્રીમંડળ હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના મંત્રીઓની સરેરાશ ઉંમર ટૂંકી હશે. આ સાથે મહિલાઓને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે.
પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ અભિનેતા દિલીપ કુમારના નિધન પર આજે સવારે શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમનું નિધન આપણી સાંસ્કૃતિક જગતને માટે નુકસાન છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, દિલીપકુમાર જી ને સિનેમા જગતના એક દિગ્ગજ રુપ તરીકે યાદ કરવામાં આવશે. તેઓ એક અદ્વિતીય પ્રતિભાનાં ધની હતા અને આ કારણથી તે બધી પેઢીના પ્રેક્ષકોનાં પ્રિય હતા. તેમનું મૃત્યુ આપણી સાંસ્કૃતિક દુનિયાને નુકસાન છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રતિ મારી સંવેદના.
લોકપ્રિય અભિનેતા
હિન્દી ફિલ્મોના સૌથી લોકપ્રિય કલાકારોમાં ગણાતા, દિલીપ કુમારે 1944 માં ફિલ્મ ‘જવર ભાટા’ થી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી અને તેમની પાંચ-દાયકાની લાંબી કારકિર્દીમાં, ‘મુગલ-એ-આઝમ’, ‘દેવદાસ’, ‘નયા દૌર’ તથા ‘રામ ઓર શ્યામ’ જેવી ઘણી હિટ ફિલ્મો આપી હતી. તેઓ છેલ્લી વાર 1998 ની ફિલ્મ કિલામાં જોવા મળ્યા હતા.