
કોમેડીની દુનિયાની સુપરહિટ ફિલ્મ ‘Hera Pheri’ના અત્યાર સુધીમાં 2 પાર્ટ બની ચૂક્યા છે અને બંને સુપરહિટ રહ્યા છે. હવે આ ફિલ્મના ત્રીજા પાર્ટ એટલે કે ‘Hera Pheri 3’ માટે પણ દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે.
એવામાં શું તમે જાણો છો કે, ‘પ્રિયદર્શન’ ‘Hera Pheri 3’ના ડાયરેક્ટર નથી? હા, હાલમાં જ પ્રિયદર્શને આ વાતનો ખુલાસો કર્યો છે. પ્રિયદર્શનની આ વાત ત્યારે સામે આવી જ્યારે પ્રોડ્યુસર ફિરોઝ નાડિયાડવાલાએ કહ્યું કે, ઓરિજિનલ ડાયરેક્ટર આ પ્રોજેક્ટનો હિસ્સો નથી. પ્રિયદર્શને હિન્દુસ્તાન ટાઈમ્સને કહ્યું કે, ‘ફિરોઝે જે કહ્યું છે તે સાચું છે. હું અત્યારે ‘Hera Pheri 3’ સાથે જોડાયેલો નથી.’
પ્રિયદર્શને આગળ કહ્યું કે, ‘મારી માહિતી મુજબ, ઘણા બધા કાનૂની મુદ્દાઓ અને પરસ્પર ઝઘડાઓને કારણે ‘Hera Pheri 3’ ક્યારેય રિલીઝ થઈ શકશે નહીં. હું આમાં જોડાયેલ છું કે નહીં, તે વાત મહત્વ નથી રાખતી.’ ફિરોઝે ‘વેરાયટી ઈન્ડિયા’ને આપેલા ઈન્ટરવ્યુમાં અગાઉ જ કહ્યું હતું કે, પ્રિયદર્શન આ ત્રીજી ફિલ્મનો હિસ્સો નથી.
‘Hera Pheri 3’નું શૂટિંગ આ વર્ષે શરૂ થવાનું હતું. જો કે, ફિલ્મ અને મ્યુઝિક રાઈટ્સ સંબંધિત કાનૂની ગૂંચવણોને કારણે ખૂબ મોડું થઈ ગયું. થોડા મહિનાઓ પહેલા પ્રિયદર્શને કન્ફર્મ કર્યું હતું કે, ફિલ્મનું શૂટિંગ આ વર્ષે બિલકુલ શરૂ નહીં થાય. ETimes સાથેની વાતચીતમાં પ્રિયદર્શને સ્વીકાર્યું કે, પરિસ્થિતિ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, ‘કેટલાક લોકોનું કહેવું છે કે ફિલ્મના રાઈટ્સ તેમની પાસે છે, જ્યારે બીજા લોકો મ્યુઝિકના રાઈટ્સ પર પોતાનો દાવો કરી રહ્યા છે.’
પ્રિયદર્શને જણાવ્યું કે, ભૂષણ કુમારે બધાની સામે ‘Hera Pheri 3’ના મ્યુઝિક રાઈટ્સ પર પોતાની માલિકી દર્શાવી છે અને ફિલ્મ પર આગળ વધતા પહેલા આ મુદ્દાઓ ઉકેલવા જરૂરી છે. એવામાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું આ વર્ષે ફિલ્મનું પ્રોડક્શન શરૂ થશે? ત્યારે ફિલ્મમેકરે કહ્યું, ‘આ વર્ષે તો બિલકુલ નહીં.’
‘બાર એન્ડ બેંચ’ અનુસાર, પ્રોડક્શન હાઉસ ‘સેવન આર્ટ્સ ઈન્ટરનેશનલ’એ દાવો કર્યો છે કે, પ્રોડ્યુસર ફિરોઝ નાડિયાડવાલાના અધિકારો માત્ર મલયાલમ ફિલ્મ ‘રામજી રાવ સ્પીકિંગ’નું હિન્દી એડેપ્ટેશન બનાવવા પૂરતા જ સીમિત હતા, જે પાછળથી વર્ષ 2000 માં ‘હેરા ફેરી’ ફિલ્મ બની.
પ્રોડક્શન હાઉસનો આરોપ છે કે, નાડિયાડવાલાએ ‘ફિર હેરા ફેરી’ બનાવીને અને ફ્રેન્ચાઈઝીના અધિકારો અક્ષય કુમારની કંપની ‘કેપ ઓફ ગુડ ફિલ્મ્સ’ને ટ્રાન્સફર કરીને કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું છે. ગયા વર્ષે પરેશ રાવલે ફિલ્મ છોડવા પર ઘણો હોબાળો થયો હતો.
અક્ષય કુમારે તેમની સામે 25 કરોડ રૂપિયાના નુકસાનીના વળતરની માંગ સાથે કેસ દાખલ કર્યો હતો. બાદમાં આ મામલો થાળે પડ્યો હતો અને અક્ષયે કેસ પાછો ખેંચી લીધો હતો.
Published On - 8:01 pm, Mon, 29 June 26