Elections 2022: કોરોના વાઈરસ (Corona virus)નો નવો ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ફેલાઈ રહ્યો છે. દેશમાં ઓમિક્રોનના કેસ (Omicron case)માં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતોએ વર્ષની શરૂઆતમાં ત્રીજી લહેર આવવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.
એક તરફ કોરોનાના નવા કેસો વધવા લાગ્યા છે તો બીજી તરફ રાજકીય રેલીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં ખરેખર ચૂંટણી (election) મોકૂફ રાખી શકાય કે કેમ તે જાણવું જરૂરી છે. જો ચૂંટણી (elections) મુલતવી રાખવામાં આવે તો શું થશે?
ચૂંટણી (election) સ્થગિત અથવા રદ પણ થઈ શકે છે. ગયા વર્ષે કોરોના મહામારી દરમિયાન ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. બંધારણની કલમ 324 મુજબ ચૂંટણી પંચ (Election Commission) ચૂંટણી કરાવવા માટે સ્વતંત્ર છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 52, 57 અને 153 ચૂંટણી રદ કરવા અથવા સ્થગિત રાખવાની વાત કરવામાં આવી છે.
કયા રાજ્યમાં ક્યારે વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થાય છે
1. ઉમેદવારના મૃત્યુ થવા પર: કલમ 52માં જોગવાઈ છે કે જો કોઈ ઉમેદવાર (Candidate) ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે સવારે 11 વાગ્યા પછી મૃત્યુ પામે છે તો તે બેઠક પરની ચૂંટણી સ્થગિત કરી શકાય છે. પરંતુ અહીં પણ કેટલાક નિયમો છે.
ઉમેદવારના અવસાન પર તેમનું નામાંકન સાચું હશે તો જ ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે, તેણે પોતાનું નામ પાછું ખેંચ્યું નથી અને મતદાન પહેલા તેમના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત જો તે ઉમેદવાર માન્ય રાજકીય પક્ષનો હોય તો જ ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે.
2. હુલ્લડો અથવા કુદરતી આફતના કિસ્સામાં: કલમ 57 હેઠળ જો ચૂંટણીના સ્થળે રમખાણ અથવા કુદરતી આફત હોય તો ત્યાં ચૂંટણી સ્થગિત કરી શકાય છે. જો આવી સ્થિતિ માત્ર અમુક જ જગ્યાએ થાય તો પ્રિસાઈડિંગ ઓફિસર મુલતવી રાખવાનો નિર્ણય લઈ શકે છે.
પરંતુ જો તે સમગ્ર રાજ્ય અથવા મોટા સ્તરે થાય છે તો ચૂંટણી પંચ ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લઈ શકે છે. કોરોનાની સ્થિતિ પણ આવી જ છે. તેથી ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય ચૂંટણી પંચ (Election Commission) જ લઈ શકે છે.
3. પૈસાના દુરુપયોગ પર અથવા મતદારોને લાંચ આપવા પર: જો કોઈપણ જગ્યાએ મતદારોને પૈસાનો દુરુપયોગ અથવા લાંચ આપવામાં આવી રહી હોય તો આવી સ્થિતિમાં ચૂંટણી સ્થગિત અથવા રદ થઈ શકે છે. આ જોગવાઈ બંધારણના અનુચ્છેદ 324માં છે.
4. બૂથ કેપ્ચરિંગ પર: જો કોઈ મતદાન મથક પર બૂથ કેપ્ચરિંગનો કેસ હોય તો ત્યાં પણ ચૂંટણી રદ થઈ શકે છે. આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 58 હેઠળ કરવામાં આવે છે.
5. જો કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોય: જો ચૂંટણી પંચને લાગે છે કે કોઈ બેઠક પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા નથી તો ચૂંટણી રદ અથવા મોકૂફ કરી શકાય છે.
જો ચૂંટણી પંચને લાગશે તો તે ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોની ચૂંટણીને સ્થગિત કરી શકે છે. આ વર્ષે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જો પંચ ઈચ્છે તો કોરોનાના જોખમને જોતા ચૂંટણી મોકૂફ રાખી શકે છે.
જો ચૂંટણી મોકૂફ રાખવામાં આવે તો વિધાનસભાની મુદત નહીં વધે. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 14 માર્ચ, 2022ના રોજ સમાપ્ત થાય છે. તે પહેલા ચૂંટણી યોજવી જરૂરી છે. જો કોરોનાને ધ્યાનમાં રાખીને ચૂંટણી સ્થગિત કરવામાં આવે છે તો આ પાંચ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન (President’s rule) લાગી શકે છે. બંધારણમાં એક સાથે 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગવાની જોગવાઈ છે. તે પછી તેને વધારી શકાય છે.
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ જ વાત કહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવીને 6 મહિના માટે ચૂંટણી સ્થગિત કરી શકે છે અને પછી સપ્ટેમ્બરમાં ચૂંટણી કરાવી શકે છે. તેમણે કહ્યું કે જો આમ થશે તો તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. આ ઉપરાંત બંધારણમાં એવી જોગવાઈ પણ છે કે દેશમાં કટોકટી લાગુ હોય તો કોઈપણ રાજ્યની વિધાનસભાની મુદત 1 વર્ષ માટે વધારી શકાય છે. પરંતુ હવે આ થઈ શકે તેમ નથી કારણ કે કોઈ ઈમરજન્સી પરિસ્થિતિ નથી.
કોરોના મહામારીને જોતા ચૂંટણી પંચે ઘણી ચૂંટણીઓ સ્થગિત કરી દીધી છે. કોરોના રોગચાળાને કારણે પંચે ગયા વર્ષે જ ઘણા રાજ્યોની પંચાયત ચૂંટણીઓ સ્થગિત કરી દીધી હતી. આ ચૂંટણીઓ ફરી એકવાર સ્થગિત થઈ શકે છે. આ સાથે પંચે ઘણી લોકસભા અને વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ મોકૂફ રાખી હતી. આ પછી પંચે ઓક્ટોબર 2021માં આ ચૂંટણીઓ કરાવી હતી.