લોકસભા ચૂંટણી 2024 આ વખતે 7 તબક્કામાં યોજાશે, પરંતુ તે પહેલા ચૂંટણી પંચે 1 માર્ચ સુધી જપ્ત કરાયેલા બ્લેક મનીની વિગતો જાહેર કરી છે, જેમાં રોજ લગભગ 100 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા અને એવી રીતે કુલ 4650 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે 2019ની સમગ્ર લોકસભા ચૂંટણી દરમિયાન રૂ. 3475 કરોડથી વધુ જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં 844 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી હતી. આ સિવાય 304 કરોડ રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર દારૂ, 1279 કરોડ રૂપિયાનું ડ્રગ્સ તેમજ 987 કરોડ રૂપિયાની કિંમતનું સોનું અને કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી દરમિયાન જપ્ત થતી રોકડ અને લિકરની બોટલનું શું થાય છે , જાણો અહીં
ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવા માટે ઉપયોગમાં લેવાતા લિકરને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે અને એક્સાઇઝ વિભાગને સોંપવામાં આવે છે. અનેક વખત ચૂંટણી પંચની ટીમ, એક્સાઇઝ વિભાગ અને પોલીસ મળીને ગેરકાયદેસર દારૂ પકડવા માટે કામગીરી કરે છે.
આ દરમિયાન દેશી અને વિદેશી દારૂ જપ્ત કરવામાં આવે છે. એક્સાઇઝ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આ લિકરની બોટલોને વેચી શકાય નહીં. આવું કોઈ ખાતામાંથી થતું નથી. આ લિકરની બોટલો પર રોડ રોલર અથવા બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવે છે.
દેશમાં ચૂંટણીઓનું સંચાલન કરતા લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ મની પાવર દ્વારા ચૂંટણીને પ્રભાવિત કરવી ગેરકાયદેસર છે. આ કાયદો કહે છે કે જો 10 લાખ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવે તો તેને જિલ્લા તિજોરીમાં જમા કરાવવી પડશે. આટલું જ નહીં, જો 10 લાખ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવે તો તેની જાણ ઇન્કમ ટેક્સના નોડલ ઓફિસરને કરવી પણ જરૂરી છે.
મે 2019માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલી રોકડની માહિતી આપી હતી. જપ્ત કરાયેલા 303 કરોડ લોકોને પરત કરવામાં આવ્યા હતા, પરંતુ 100થી વધુ કેસમાંથી માત્ર ત્રણ કેસ એવા હતા જેમાં લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જે 1 ટકા કરતા પણ ઓછા છે.
ચૂંટણીમાં સુધારો કરવા માટે કામ કરતી સંસ્થા એડીઆરના જણાવ્યા અનુસાર, આવકવેરા વિભાગ પાસે ચૂંટણીમાં જપ્ત કરાયેલા નાણાં માટે ઘણી અલગ જોગવાઈઓ અને કાયદાઓ છે.
ચૂંટણી દરમિયાન જે નાણા જપ્ત કરવામાં આવે છે તે આવકવેરા વિભાગને સોંપવામાં આવે છે, જો પૈસાનો સ્ત્રોત જાણી શકાય છે તો જેની પાસેથી પૈસા જપ્ત કરવામાં આવ્યા છે તે વ્યક્તિ તે પૈસા પર દવા કરી શકે છે.
એવું જરૂરી નથી કે ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલા નાણાં માત્ર વહેંચણી માટે જ લેવામાં આવે છે. કેટલાક લોકો કેટલીકવાર કામ અને વ્યવસાયના સંબંધમાં તેમની સાથે પૈસા લઈ જાય છે. ઘણી વખત આવા લોકો પોલીસના હાથે ઝડપાઈ પણ જાય છે. જો સ્ત્રોત ખબર ન હોય, તો નાણાં વર્ષો સુધી આવકવેરા વિભાગ પાસે રહે છે. જો ચૂંટણીમાં પૈસાનો ગેરકાયદે ઉપયોગ થતો હોય તો તેના પર દાવો કરવા માટે કોઈ આવતું નથી.