12 ડિસેમ્બરે એટલે કે આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લેવાના છે. ત્યારે તેમની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. ગઈ કાલે મોડી રાત્રે મંત્રીમંડળના નામ પર મહોર લાગી ગઇ છે. મળતી માહિતી મુજબ 17 જેટલા મંત્રીઓ શપથ લે એવી શક્યતા છે. શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. શપથ સમારોહમાં હાજરી આપવા વડાપ્રધાન મોદી ગઇકાલે રાત્રે જ ગુજરાત આવી ગયા હતા. ત્યારે મળતી માહિતી મુજબ સીએમ સાથે મંત્રીમંડળમાં જે શપથ લેવાના છે તેમાં વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ મોખરે છે. વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવા પણ રેસમાં છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ ચર્ચામાં છે.
વિધાનસભા અધ્યક્ષની જો વાત કરવામાં આવે તો તેમનું મહત્વ વિધાનસભા પુરતુ હોય છે. અથવા તો જ્યારે પણ પક્ષ પલટા થતા હોય છે, એક પક્ષમાંથી કોઇ અન્ય પક્ષમાંથી જતુ હોય એટલે કે તોડ જોડની જે રાજનીતિ થાય છે તે સમયે વિધાનસભા પદના અધ્યક્ષનું મહત્વ હોય છે. બાકી સમયમાં વિધાનસભા અધ્યક્ષનું મહત્વ નથી હોતુ. એટલે બાર મહિનામાં એક મહિનો વિધાનસભા અધ્યક્ષનું મહત્વ રહેતુ હોય છે. ત્યારે આ પદ માટે સૌથી મોખર શંકર ચૌધરીનું નામ ચાલી રહ્યુ છે.
શંકર ચૌધરીને જો વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવે તો કહી શકાય છે કે તેમને કટ ટુ સાઇઝ કરવામાં આવ્યા, કેમ કે તે પોતે બનાસ ડેરીના ચેરમેન છે. તે ચૌધરી સમાજનો એક એવો ચહેરો છે જે આગળ ચાલતા હતા અને તે બનાસકાંઠાનું સૌથી મોટુ માથુ છે. જો કે સમગ્ર ચૂંટણી દરમિયાન શંકર ચૌધરીના વિષયો આંખે ઉડીને આવેલા છે. પણ જો શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ તરીકે સ્થાન મળે તો તેમને કોઇ મોટુ સ્થાન મળ્યુ તેવુ ન કહેવાય. જો તેમનો સમાવેશ કેબિનેટ કક્ષામાં થાય ત્યારે તેમને મોટુ સ્થાન મળ્યુ તેવુ કહેવાઇ શકે છે.
બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવાનું નામ પણ ચાલી રહ્યુ છે. આ બંને પહેલા વિધાનસભાના સ્પીકર રહી ચુક્યા છે.તો વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ ચર્ચામાં છે. ત્યારે હવે કયા નેતાને કયુ સ્થાન મળી શકે તે તો બપોર બાદ જ જાણી શકાય તેમ છે.