Gujarat Election 2022: વડાપ્રધાન મોદીનો સુરતમાં બે કિલોમીટરનો રોડ શો યોજાશે, તંત્રએ શરુ કરી દીધી તૈયારીઓ
સુરતમાં (Surat) વડાપ્રધાન અનેકવિધ યોજના પ્રોજેક્ટોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સુરતમાં બે કિલોમીટરનો રોડ શો યોજશે. જેના માટે અત્યારથી જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
વિધાનસભા ચૂંટણીના (Assembly elections) પ્રચાર માટે ભાજપ (BJP) હવે એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે હવે આગામી 29 સપ્ટેમ્બરે સુરત (Surat) આવી રહ્યા છે. સુરતમાં વડાપ્રધાન અનેકવિધ યોજના પ્રોજેક્ટોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં બે કિલોમીટરનો રોડ શો યોજશે. જેના માટે અત્યારથી જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. રોડ શૉ બાદ વિશાળ જનમેદનીને સંબોધન પણ કરવાના છે.
સુરતમાં યોજાશે ભવ્ય રોડ શો
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2 કિલોમીટર લાંબો ભવ્ય રૉડ શૉ યોજાશે. સુરતના ગોડાદરાના આસ્તિક મેદાનથી લિંબાયત નીલગીરી મેદાન સુધી તેમનો રોડ શૉ યોજાશે. સુરતમાં તેમનો રોડ શો 7 વર્ષ પછી યોજાવા જઈ રહ્યો હોવાથી તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવાઈ છે. ગોડાદરા ખાતે આસ્તિક સ્કૂલના ગ્રાઉન્ડ પર હેલિપેડ બનાવવામાં આવશે. સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે ગોડાદરા જશે. રોડ શૉ બાદ નીલગીરી ગ્રાઉન્ડમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેઓ સુરત કોર્પોરેશનના 3,100 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે પીએમ મોદીએ નીલગીરી ગ્રાઉન્ડમાં સભા સંબોધી હતી.
વિશાળ જનસભા સંબોધશે PM
આગામી તારીખ 29મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi ) સુરતના મહેમાન બની રહ્યા છે. તેમની અધ્યક્ષતામાં સુરત (Surat )મનપા અને સુરત જિલ્લાના તથા કેન્દ્ર સરકારના અનેકવિધ યોજના પ્રોજેક્ટોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. સવારે 9 કલાકે લીંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વડા પ્રધાનની જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે એક લાખ લોકોની ક્ષમતા ધરાવતી જાહેર સભાના આયોજન માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્વતૈયારીના ભાગરૂપે જ, પીએમઓ તરફથી સત્તાવાર કાર્યક્રમ અપાય તે પહેલા જ, અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ કામગીરી માટેના ટેન્ડરો ઈશ્યુ કરી દીધા હતાં.
વ્યવસ્થાપન માટે અલગ અલગ 16 જેટલી કમિટી બનાવાઈ
પીએમ મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અલગ અલગ 16 જેટલી સમિતિની રચના કરવામાં આવી છે. અને તેના માટે નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. જેમાં મંડપ, પાર્કિગ, સંકલન, સ્ટેજ વ્યવસ્થાપન, સ્વાગત , સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન જેવી કામગીરીનો સમાવેશ થાય છે. આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમના કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનક્લ્યાણકારી યોજનાઓનો લાભાર્થીઓને વડાપ્રધાનના હસ્તે લાભો એનાયત કરવામાં આવશે.