ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર સરેરાશ 62.89 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. 19 જિલ્લામાં લાખો નવા મતદારો ઉમેરાયા હોવા છતાં ઓછું મતદાન થયુ છે. ગામડાઓમાં વધારે જ્યારે શહેરોમાં ઓછું મતદાન નોંધાયું છે. જો કે પ્રથમ તબક્કામાં મતાધિકારનો ઉપયોગ કરવામાં આદિવાસી સમાજ અવ્વલ રહ્યું છે. તાપી, ડાંગ, નવસારીમાં ઢોલ-નગારા સાથે લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા કલાકોમાં બૂથ પર કતારો જોવા મળી હતી. મોરબી, જામનગર, બોટાદમાં છેલ્લા 2 કલાકમાં કુલ મતદાનના 25 ટકા મત પડ્યા હતા. પુલ દુર્ઘટના જ્યાં બની હતી તે મોરબીમાં 62 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે.
સુરતમાં મતદારોને છેલ્લા કલાકોમાં બૂથ પર લઈ જવા દોડાદોડી કરવી પડી હતી. સુરત શહેરમાં ઓછું મતદાન નોંધાયુ છે. જેવો રાજકીય ગરમાવો હતો તે પ્રમાણે મતદાન થયુ નથી. સુરત શહેરમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્રીયન મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ઓછું મતદાન થયુ છે. 6 બેઠકો પર છેલ્લી ઘડીએ ઉમેદવારોના સમર્થકોની દોડાદોડી જોવા મળી હતી. મતદારોને શોધી શોધીને બુથ પર લઈ જવા પડે તેવી સ્થિતિ જોવા મળી. વર્ષ 2017માં ભાજપની હાર થઈ હતી તેવા 6 જિલ્લામાં મતદાન ઘટ્યું છે. આ જિલ્લામાં સવારે નિરસ મતદાન રહ્યું, બપોર બાદ મતદાન વધ્યું હતુ.
સૌરાષ્ટ્રમાં મતદારોમાં વધારો થવા છતાં આ વખતે મતદાનમાં ઘટાડો નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથમાં છેલ્લી ઘડીએ મતદાન કરાવવા દોડાદોડી જોવા મળી. રિક્ષાઓ ફેરવી, માઈકથી બૂમો પડાવીને મતદારોને બુથ સુધી લઈ જવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા કલાકોમાં બૂથ પર કતારો જોવા મળી હતી. મોરબી, જામનગર, બોટાદમાં છેલ્લા 2 કલાકમાં કુલ મતદાનના 25 ટકા મત પડ્યા. પુલ દુર્ઘટનાનો શિકાર બનેલા મોરબીમાં 62 ટકાથી વધુ મતદાન થયુ.
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સૌથી ઊંચુ મતદાન નોંધાયુ છે. આદિવાસી વિસ્તારની 14 બેઠક પર સરેરાશ 70 ટકા ઊંચુ મતદાન છે. તાપી, ડાંગ, નવસારીમાં ઢોલ-નગારા સાથે લોકશાહીના પર્વની ઉજવણી જોવા મળી. નર્મદામાં 73 ટકા, નવસારીમાં 66 ટકા, તાપીમાં 73 ટકા મતદાન નોંધાયુ છે.તો વલસાડમાં 73 ટકા, ડાંગમાં 64 ટકા, ભરૂચમાં 63 ટકા મતદાન નોંધાયુ છે.
જે સ્થળોએ ઓછુ મતદાન થયુ છે ત્યાં ઓછા મતદાન પાછળ કેટલાક કારણો જવાબદાર માનવામાં આવે છે. મોંઘવારીથી પ્રભાવિત શહેરી-ગ્રામ્ય મતદાર, શાસક અને વિપક્ષની કામગીરીથી નારાજગી, રાજકીય વાદ-વિવાદથી મતદારોની નારાજગી, રાજકીય પક્ષના કાર્યકરોમાં અસંતોષ પણ મોટું કારણ માનવામાં આવી રહ્યુ છે. ઓછા મતદાન દ્વારા કમિટેડ વોટરે સાઇલેન્ટ વિરોધ નોંધાવ્યો હોય તેવુ જોવા મળી રહ્યુ છે.
Published On - 9:48 am, Fri, 2 December 22