ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં જીત માટે કચ્છમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. બંને પાર્ટીના ઉમેદવારો મતદારોના મત માગવા ઘરે-ઘરે જઈ રહ્યા છે. કચ્છની કુલ 6 બેઠકોમાંથી 5 ભાજપ પાસે છે. પરંતુ આ વખતે ભાજપ દાવો કરી રહ્યું છે કે તમામ બેઠકો પર જીત થશે. જોકે ભાજપની પકડ ધરાવતી અંજાર બેઠકનો જંગ આ વખતે રસપ્રદ બની રહેશે.
અંજાર વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. છેલ્લી 5 ટર્મથી ધારાસભ્ય રહેલા વાસણ આહિર અને તેમના પુત્રને ભાજપે ટિકિટ ન આપીને રતનાલ ગામના જ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિક્રમ છાંગાની પસંદગી કરી છે. આ બેઠક પર ઉમેદવારની પસંદગી પછી વાસણ આહિર નારાજ હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. જોકે હવે જોરશોરથી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે અને ભાજપની જીતનો દાવો કરી રહ્યા છે.
નવા સીમાંકન બાદ અંજાર બેઠકના જ્ઞાતિ સમીકરણો બદલાયા છે અને તેમાં આહીર સમાજની વસ્તી સૌથી વધુ છે. જેમાં મચ્છોયા અને પ્રાથળીયા આહિર સમાજનો સમાવેશ થાય છે. ભાજપના ઉમેદવાર પ્રાથળીયા આહિર છે જ્યારે કોંગ્રેસે મચ્છોયા આહિર ઉમેદવાર પર પસંદગી ઉતારી છે. જેની વસ્તી આહિર સમાજમાં વધુ છે. આ સિવાય આ બેઠક પર મુસ્લિમ, દલિત, રબારી સમાજનું પ્રભુત્વ છે. બે વર્ષથી આ બેઠક પર આહિર ઉમેદવારો વચ્ચે સીધો જંગ હતો. જેમાં વાસણ આહિર જીત મેળવતા હતા. જોકે આ વખતે ભાજપ અને કોંગ્રેસે મજબૂત ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. જેથી ખરાખરીનો જંગ જોવા મળશે.
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.