ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ નેતાઓ પણ જનતાની નજીક આવી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. પ્રચાર અને પ્રસાર થકી દરેક રાજકીય પાર્ટી (Political Party) મતદારોને રીઝવવા એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. આજે ઉત્તર ગુજરાતમાં રાજકીય પાર્ટી વચ્ચે પ્રચાર યુદ્ધ છેડાયુ તેવુ લાગી રહ્યુ છે. આજે પાટણમાં ભાજપની ગૌરવ યાત્રા,(BJP Gaurav yatra) થરાદમાં CM અશોક ગેહલોત અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીન્યર અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) અને ભગવંતમાન પણ મહેસાણામાં (Mehsana) છે.
ઉત્તર ગુજરાત પર હાલ સૌ કોઈની નજર છે, જો અહીંના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની 32 બેઠકમાંથી હાલ ભાજપ 13 કોંગ્રેસ 15, અપક્ષ 01 અને અન્ય 03 બેઠકો પર છે. અહીં ભાજપ કરતા કોંગ્રેસની(Congress) પકડ વધારે મજબૂત દેખાઈ રહી છે. આથી કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવા ભાજપ ગૌરવ યાત્રા થકી મેદાનમાં ઉતરી છે. આજે સાંજે ભાજપની ગૌરવ યાત્રા પાટણ પહોંચશે, જેમાં હરદીપ સિંહ પૂરી, નીતિન પટેલ , અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ જોડાશે.
તો બીજી તરફ કથળતી સ્થિતિ વચ્ચે પણ મહતમ બેઠકો હાંસલ કરવા કોંગ્રેસ મથામણ કરી રહી છે. મોડે મોડે સક્રિય થયેલી કોંગ્રેસે હવે પ્રચાર માટે રાજસ્થાનના CM અશોક ગેહલોતને મેદાનમાં ઉતાર્યા છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મિશન 2022 પાર કરવા અશોક ગેહલોત (Ashok Gehlot) ગુજરાતમાં પ્રચાર કરવા આજથી બે દિવસની દિવસની મુલાકાતે છે. ગુજરાતની મુલાકાત દરમિયાન ઉત્તર ગુજરાતના (Radhanpur)રાધનપુર અને થરાદમાં તેઓ જનસભા કરશે. તેમજ યૂથ કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રાના સમાપનમાં જોડાશે. તો કોંગ્રેસની નેતાઓ સાથે બેઠક પણ કરશે.
AAPના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલ અને ભગવંત માન બે દિવસની ગુજરાત મુલાકાતે છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજે મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં (Unjha City) અને બનાસકાંઠા (banskantha) જિલ્લાના ડીસા શહેરમાં જાહેર સભાઓને સંબોધશે. તો આજે ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે મતદારો EVM પર કઈ પાર્ટીનુ બટન દબાવે છે, તે તો પરિણામ જ બતાવશે.
Published On - 12:05 pm, Mon, 17 October 22