તાપી (Tapi) જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય વિદેશ અને સાંસ્કૃતિક મંત્રી મીનાક્ષી લેખીએ (Minakshi lekhi) AAP સરકારના દિલ્લી મોડલ પર સવાલો ઉઠાવ્યા હતા. તાપી જિલ્લાના વ્યારા અને નિઝર વિધાનસભા બેઠકના પ્રવાસે કેન્દ્રના વિદેશ અને સાંસ્કૃતિક મંત્રી મીનાક્ષી લેખી આવ્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં દિલ્લી મોડલના કરેલા પ્રચાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, “દિલ્લીમાં આપની (AAP) સરકાર દ્વારા હર ઘર યોજના દ્વારા ઘેર ઘેર પાણી પણ પહોંચતું નથી. આ વાતો માત્ર કાગળો પર થાય છે. દિલ્લીમાં 50 ટકા કામો પણ થતા નથી. તો બીજી બાજુ એકસાઈઝ જેવી પોલિસી થકી બ્લેક લિસ્ટેડ કંપનીને લાયસન્સ આપવામાં આવ્યું છે અને દિલ્લીની યમુના નદી આજે ગટર બનીને રહી ગઈ છે.
તાપી જિલ્લાના વ્યારા અને નિઝર બેઠકના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ વિવિધ કાર્યકર્તાઓ સાથે વિશેષ બેઠક યોજીને ચર્ચા કરી હતી તેમજ ડાંગના શબરીધામ મંદિર તેમજ વ્યારાના અંબાજી મંદિરના દર્શન પણ કર્યા હતા.
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ આ વખતે ગુજરાતમાં બેઠકો મેળવવા માટે કમર કસી છે અને તેઓ વારંવાર ગુજરાતની મુલાકાત લઇને ગુજરાતની શિક્ષણ નીતિ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે તો વિવિધ વચનોની લહાણી પણ કરી રહ્યા છે આવા સંજોગોમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આરોપ પ્રત્યારોપનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે અને આગામી સમયમાં તેનું પ્રમાણ વધશે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat vidhansabha Election 2022) નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ 8 ઓક્ટોબર તેમજ 9 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવશે. આ બે દિવસ દરમિયાન અરવિંદ કેજરીવાલ ઘણી જનસભાને સંબોધિત કરશે. તાજેતરમાં જ આપના (AAP ) સંયોજક તથા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Maan) 2 ઓકટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા તે સમયે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી હતી તેમજ તેઓ તેઓ રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં સામેલ થયા હતા અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન એક કાર્યક્રમમાં સ્ટેજ પર ગરબે પણ ઘૂમ્યા હતા.