ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ના અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા પ્રારંભ કરવામાં આવેલા ‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત દિવ્યાંગો દ્વારા પણ વધુ સંખ્યામાં મતદાન થાય એ હેતુથી સાધના પેરેન્ટસ એસોસિએશન ઓફ મેન્ટલી ચેલેન્જ્ડ પર્સન, ગાંધીનગર ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ તેમજ શપથવિધિ, સાઈન અને સેલ્ફી બુથ સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દિવ્યાંગજનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ પાવન પર્વમાં સહભાગી બને તેમજ અન્ય નાગરિકો માટે પણ પ્રેરણારૂપ બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગજનો માટે કરવામાં આવેલી સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી. જેમાં દિવ્યાંગો માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશન અને લાઈનમાં ઊભા રહ્યા વગર સીધા મતદાન કરી શકાય તે માટે કરવામાં આવેલી સુવિધાઓની જાણકારી અપાઈ હતી.
આ ઉપરાંત, નોડલ ઓફિસર પી.ડબલ્યુ.ડી. તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ મોબાઈલ એપ દ્વારા નવા મતદાર તરીકે નોંધણી કરાવવી, મતદાર યાદીમાં નામ ટ્રાન્સફર કરાવવા, નામ સુધરાવવા કે કમી કરાવવા, વ્હીલચેર માટેની વ્યવસ્થા, મતદાન મથક શોધવા માટેની વિવિધ સુવિધાઓ માટે ગૂગલ પ્લેસ્ટોર પરથી PWD એપ્લિકેશન ડાઉનલોડ કરવા સહિતની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત દિવ્યાંગજનો તથા અધિકારી અને કર્મચારીઓએ પણ મતદાનનાં શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં નોડલ અધિકારી પી.ડબલ્યુ.ડી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.આઈ. દેસાઈ, સાધના પેરેન્ટસ એસોસિએશન ઓફ મેન્ટલી ચેલેન્જ્ડ પર્સન સંસ્થાના પ્રમુખ ભાનુપ્રસાદ ચૌહાણ અને વિશેષ એજ્યુકેશન સેન્ટર સેક્ટર-1ના ડો. ચિરાગ ઉપાધ્યાય તથા ચૂંટણી અધિકારી ગાંધીનગર (ઉ)ના નાયબ મામલતદાર દીપિકા સિંધવે ઉપસ્થિત રહી માહિતી પૂરી પાડી હતી.