ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022: ગુજરાતના ગઢને સર કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. અમિત શાહ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરીને તાબડતોડ ચૂંટણી સભા ગજવી રહ્યા છે. અમિત શાહે આજે ખેડા જિલ્લાના મહુધા અને દાહોદ જિલ્લાના ઝાલોદમાં સભાઓ ગજવી. જેમાં તેમણે કોંગ્રેસને વિવિધ મુદ્દે આડે હાથ લીધી. અમિત શાહે કોરોનાની વેક્સીનના મુદ્દે કોંગ્રેસના સમયગાળામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને અમિત શાહે આકરા પ્રહાર કર્યા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખેડાના મહુધામાં જાહેર સભાને સંબોધી ફરી એક વખત કોંગ્રેસને આડેહાથ લીધી. અમિત શાહે કોંગ્રેસ પર શાબ્દિક ચાબખાં ફટકારતા કહ્યું કે સોનિયા-મનમોહનની આગેવાની હેઠળનું કોંગ્રેસનું શાસન એ કૌભાંડો અને ભ્રષ્ટાચારનું શાસન હતું. કોંગ્રેસના રાજમાં ગણ્યા ગણાય નહીં તેવા એટલા બધા કૌભાંડ થયા કે કોંગ્રેસના રાજમાં કૌભાંડ ગણાતા નથી અને ભાજપના રાજમાં જણાતા નથી. તેમણે મહુધાના મતદારોને ભાજપને જંગી બહુમતિથી જીતાડવા હાકલ કરતા કહ્યું કે તમે ચૂંટેલા ધારાસભ્ય ફક્ત વિરોધ જ કરે છે, આથી હવે તમે વિરોધ કરનારા નહીં, પરંતુ વિકાસ કરનારા નેતાને જ ચૂંટજો.
તો દાહોદના ઝાલોદમાં આયોજિત જનસભામાં ગૃહપ્રધાન અમિત શાહે ફરી એક વખત આદિવાસીઓના વિકાસનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસને ઘેરી. અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસે હંમેશા આદિવાસી સમાજનો માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો. કોંગ્રેસની સરકાર આદિવાસીઓ માટે મામૂલી બજેટ ફાળવતી હતી, પરંતુ ભૂપેન્દ્ર પટેલ સરકારે આદિવાસીઓના ઉદ્ધાર માટે 1 લાખ કરોડ જેવા માતબર બજેટની ફાળવણી કરી. ભાજપે જ આદિવાસી સમાજને જમીનોની સનદો આપી. તેમણે કહ્યું કે કોંગ્રેસે 75 વર્ષ સુધી કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ ન બનાવ્યા. એટલું જ નહીં ભાજપે પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા તો કોંગ્રેસે તેમને સમર્થન પણ ન આપ્યું.
તો વધુમાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે કોરોનાની રસીને લઈ કોંગ્રેસે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસીઓ કહેતા કોરોના રસી ન લેતા. કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટેલે કે કોંગ્રેસ. તેમને ઉમેર્યું કે કોરોનાકાળમાં કોઈ ભૂખ્યા ન રહે તે પ્રકારની વ્યવસ્થા કરી. જો કોંગ્રેસનું શાસન હોત તો તમારા સુધી અનાજ ન પહોંચ્યુ હતુ. આદિવાસી વિસ્તારમાં વિકાસની શરૂઆત ભાજપ સરકારે જ કરી. જેટલા કમળ મોકલશો એટલો જ ફાયદો થશે. ભાજપ જે બોલે છે તે કરીને બતાવે છે.
Published On - 4:45 pm, Fri, 25 November 22