વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પ્રચાર અભિયાનમાં લાગી ગઈ છે. કોંગ્રેસ આજથી પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે. યાત્રાનો પ્રારંભ કરતા પહેલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત અન્ય કૉંગ્રેસના નેતાઓએ અંબાજી માતાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું. ભરતસિંહ સોલંકીએ વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે કાણોદર વડગામથી શરૂ થયેલી પરિવર્તન સંકલ્પ યાત્રા ઉત્તર ગુજરાતમાં ફરશે અને લોકોના આશીર્વાદ મેળવશે. તેમણે કહ્યું કે આ સંકલ્પ યાત્રા ગઈકાલે શરૂ થવાની હતી. પરંતુ મોરબી દુર્ઘટનાને પગલે ગઈકાલે યાત્રા મોકૂફ રાખીને આજથી શરૂ કરવામાં આવી છે.
મોટાભાગે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે-ત્રણ મહિના અગાઉ કોંગ્રેસ પ્રચાર કરીને ઘણી બેઠકો પર જીત મેળવવામાં કામયાબ રહી છે. જો કે આ વખતે રાજકીય સમીકરણો અને સ્થિતિ કંઈક જુદો જ રાગ આલાપી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ‘કોંગ્રેસનું કામ બોલે છે’ સુત્રથી પ્રચાર કરી રહી છે. જો કે હવે કોંગ્રેસે ભાજપની જ રણનિતી અનુસાર પ્રચાર કરવા કમર કસી છે. ભાજપ ગૌરવ યાત્રા થકી ગુજરાતને ધમરોળી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પણ મહતમ બેઠકો હાંસલ કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા થકી સમગ્ર ગુજરાતમાં પ્રચાર કરી રહી છે.
દક્ષિણ ગુજરાતની યાત્રા ભરૂચ , નર્મદા , તાપી , સુરત , નવસારી , ડાંગ , અને વલસાડ સહિત સાત જિલ્લામાંથી પસાર થશે. તો મધ્યગુજરાતની યાત્રા જિલ્લા વડોદરા , જિલ્લા અને શહેર , આણંદ , ખેડા, નડિયાદ, મહીસાગર , પંચમહાલ , દાહોદ અને છોટા ઉદેપુર સહિત નવ જિલ્લાને કવર કરશે. જો ઉતર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા , પાટણ , મહેસાણા , સાબરકાંઠા , અરવલ્લી અને ગાંધીનગર સહિત 6 જિલ્લામાંથી પસાર થશે. તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ બે યાત્રા યોજશે.સૌરાષ્ટ્રની બન્ને યાત્રામાં કોગ્રેસ 7 – 7 જીલ્લા કવર કરશે.જેમાં સોરાષ્ટ્રના એક રૂટમા મોરબી, રાજકોટ જામનગર, પોરબંદર, દેવભુમિ દ્રારકા અને જૂનાગઢનો સમાવેશ થશે. તો સૌરાષ્ટ્રના બીજા રૂટમા ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અમદાવાદ જીલ્લા અને શહેરોને આવરી લેવાશે. મહત્વનું છે કે, કોગ્રેસની આ 5 પરીવર્તન સંકલ્પ યાત્રા 31 ઓકટોબરથી શરુ થશે.આ દરેક યાત્રા અંદાજીત 10-10- દિવસની રહેશે. જો કે નેતાઓની નજીક પહોંચતા મતદારોનો હાથ EVM પર જાય છે કે કેમ તે જોવુ રહ્યું.