રાજ્યમાં ભાજપે 156 બેઠક સાથે વિજય પ્રાપ્ત કર્યો છે જ્યારે કોંગ્રેસના ડાંડિયા ડૂલ થઈ ગયા છે આ પરિસ્થિતિમાં અમદાવાદમાં મણિનગરના કોંગ્રેસના ઉમેદવાર રિકાઉન્ટીંગની માગણી કરી છે. ઉમેદવાર સી. એમ. રાજપૂતે EVMના મુદ્દે આરોપ લગાવતા કહ્યું હતું કે, નવ EVM મશીન તૂટેલા હતા અને તેથી વોટિંગમાં કે ગણતરીમાં ગરબડ થઈ હોવાની તમામ શક્યતાઓ છે તેમણે આ અંગે ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી હતી અને કોંગ્રેસના ઉમેદવારે ફરીથી વોટિંગની માગણી પણ કરી હતી.
નોંધનીય છે કે ગત રોજ આવેલા પરિણામોમાં જોવા મળ્યું હતું કે કોંગ્રેસના દિગ્ગજો ગુજરાતમાં ઠેર ઠેર હાર્યા છે ત્યારે ભાજપની પ્રચંડ જીત વચ્ચે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસના એક કાર્યકરે હોબાળો મચાવ્યો હતો અને કાર્યકર સરફરાઝખાન પઠાણે પરિવર્તનની ઘડિયાળ પર પથ્થરમારો કરી બળાપો કાઢયો હતો તેમજ અને કોંગ્રેસ પર ભડાશ કાઢતા કહ્યું, ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે. સિનિયર નેતાઓ મહેનત નથી કરતા એટલે આ પરિણામ ભોગવવું પડ્યું છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હારનો સ્વીકાર કરતા કહ્યું અમારી ધારણા મુજબ પરિણામ આવ્યા નથી .ભાજપની ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન મોદી અને સી આર પાટીલને અભિનંદન પાઠવું છું અને હવે નવી સરકાર કોંગ્રેસે ઉઠાવેલા મુદ્દા મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સારૂ શાસન આપે તેવું કોંગ્રેસ ઈચ્છે છે.
ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે એટલે સુધી કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ હારનો સામનો કર્યો છે. અમરેલી બેઠક પરથી ભાજપના કૌશિક વેકરીયાએ કોગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને હાર આપી તો દરિયાપુરથી દિગ્ગજ નેતા ગ્યાસુદ્દીનને ભાજપના કૌશિક જૈને હરાવ્યા. આ તરફ છોટાઉદેપુરની પાવીજેતપુર બેઠક પરથી વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાર થઇ. તો મોરબીની ટંકારા બેઠક પર લલિત કગથરાને પણ હારનો સામનો કરવો પડ્યો.
કોંગ્રેસના મોટા નેતાઓમાં લલિત વસોયાને પણ હારનો સામનો કરવો પડ્યો છે ધોરાજી બેઠક પરથી લલિત વસોયાને ભાજપના મહેનદ્ર્ પાડલિયાએ હાર આપી. તો સાવરકુંડલા બેઠક પરથી મહેશ કસવાલાએ કોંગ્રેસના પ્રતાપ દૂધાતને હાર આપી. ઉપરાંત કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂને રાજકોટ પૂર્વ બેઠક પરથી ઉદય કાનગડે માત આપી હતી અને અમદાવાદના બાપુનગરથી હિંમતસિંહ પટેલને પણ હારનો સામનો કરવો પડ્યો