વિધાનસભા ચૂંટણી નજીક (Gujarat Assembly Election) આવતા સત્તા કાયમી રાખવા ભાજપ એડી ચોટીનુ જોર લગાવી રહી છે. ભાજપે ગૌરવ યાત્રા થકી ચૂંટણી પ્રચંડ પ્રચારની શરૂઆત કરી છે. ગઈ કાલે બહુચરાજી માતાના મંદિરે માતાજીના દર્શન કર્યા પછી વિધિવત રીતે જે.પી. નડ્ડાએ (JP Nadda) ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આજે બીજા દિવસે અમિત શાહ પણ આ પ્રચાર અભિયાનમાં જોડાશે. સૌપ્રથમ અમદાવાદના ઝાંઝરકાથી સોમનાથ જતી ગુજરાત ગૌરવ યાત્રાને (Gujarat Gaurav yatra) અમિત શાહ પ્રસ્થાન કરાવશે. આ યાત્રા 24 વિધાનસભા, 9 જિલ્લા 1070 કિમીનો પ્રવાસ ખેડશે. જો કે પ્રશ્ન એ થાય કે આ જિલ્લાઓની જ પસંદગી કેમ કરવામાં આવી ?
આ યાત્રા થકી ભાજપ અમદાવાદ જિલ્લાની બેઠકો પર પકડ મજબૂત કરવા માગે છે. વર્ષ 2017માં ભાજપે અમદાવાદ (Ahmedabad) જિલ્લાની ધંધુકા-વિરમગામ બેઠક ગુમાવી હતી. તો ધોળકા બેઠકમાં પણ ગણતરીના મતોથી જ બીજેપીની જીત થઈ હતી. આથી અમદાવાદ જિલ્લામાં પકડ મજબુત કરવા પર ભાજપનું ફોકસ છે.
તો બોટાદની વાત કરીએ તો ગત વિધાનસભા ચૂંટણીમાં 2 માંથી 1 સીટ ભાજપને મળી હતી. તો ભાવનગર શહેર અને જિલ્લામાં 7 માંથી 6 બેઠક બીજેપી પાસે છે. જ્યારે એક બેઠક પર ભાજપને (BJP) ફટકો મળ્યો હતો. તો અમરેલીમાં વર્ષ 2017માં 5 માંથી એક પણ બેઠક મેળવવામાં ભાજપ નિષ્ફળ ગયુ હતુ. જો કે પેટા ઇલેક્શનમાં ધારી બેઠક પરથી ભાજપે જીત મેળવી હતી.
જો જૂનાગઢની (Junagadh) વાત કરીએ તો આ જિલ્લામાં 5 માંથી 2017 માં ભાજપ એક પરથી જ જીત મેળવી શક્યુ હતુ. તો માણાવદર જવાહર ચાવડા પેટા ઇલેક્શનમાં જીત્યા હતા. તો બીજી તરફ વિસાવદરના દિગ્ગજ નેતા હર્ષદ રીબડીયા એ કોંગ્રેસનો હાથ છોડી ભગવો ખેસ ધારણ કર્યો છે. તેથી આ વખતે અહીંના રાજકીય ઈતિહાસમાં પરિવર્તન જોવા મળી શકે છે. તો આ યાત્રાનું અંતિમ બિંદુ એટલે ગીર સોમનાથ. જો અહીંની વાત કરીએ તો 4 વિધાનસભા બેઠક પરથી ભાજપ એક પણ બેઠક પરથી કાઠુ કાઢી શક્યુ નહોતું. જો કે ગત વખતે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં પાટીદાર આંદોલનને પગલે ભાજપને મોટ ફટકો પડ્યો હતો. જો કે અત્યારે અહીંની રાજકીય સ્થિતિ કંઈક જુદો જ રાગ આલાપી રહી છે.
Published On - 11:12 am, Thu, 13 October 22