આ સમયે ઓર્ગેનિક ખેતી ખૂબ ચર્ચામાં છે. આમાં મધ્યપ્રદેશ સૌથી આગળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તમામ ખેડૂતોએ તેમની જમીનના નાના ભાગમાં જૈવિક ખેતી કરવી જોઈએ. બેતુલ જિલ્લાના બાગોલી ગામના ખેડૂત જયરામ ગાયકવાડ આવા જ એક ખેડૂત (Farmers)છે. તેમની પાસે પોતાની 30 એકર જમીન છે, જેમાંથી માત્ર 10 એકર જમીનનો સજીવ ખેતી (Organic Farming) માટે ઉપયોગ કરીને તેઓ વાર્ષિક 35 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. અન્ય ખેડૂતો માટે આ એક સારું ઉદાહરણ છે જેઓ વિચારે છે કે આવી ખેતીમાં કોઈ ફાયદો નથી. મધ્યપ્રદેશમાં 17 લાખ હેક્ટરથી વધુ જમીનમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવી રહી છે. અહીં લગભગ સાડા આઠ લાખ ખેડૂતો આવી ખેતી કરે છે. જેમાંથી એક છે જયરામ ગાયકવાડ.
જયરામ પાંચ એકરમાં શેરડી, બે એકરમાં વર્મી કમ્પોસ્ટ યુનિટ, ગૌશાળા અને ગોબર ગેસ પ્લાન્ટ, દોઢ એકરમાં ઓર્ગેનિક ઘઉં અને બાકીના દોઢ એકરમાં ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરે છે. ગૌશાળામાં તેમની પાસે 55 ગાય છે, જેમાંથી તેઓ દરરોજ લગભગ 150 લિટર દૂધ મેળવે છે. તેઓ તેમાંથી સારી કમાણી પણ કરી રહ્યા છે. જયરામ પોતાની મહેનતથી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
જયરામ કહે છે કે તેઓ મધ્ય પ્રદેશ સ્ટેટ ઓર્ગેનિક સર્ટિફિકેશન ઓર્ગેનાઈઝેશન ભોપાલમાં નોંધણી કરાવ્યા બાદ છેલ્લા 15 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે શેરડીમાંથી તેઓ ઓર્ગેનિક ગોળ બનાવે છે, જે બજારમાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જે સામાન્ય ગોળ કરતાં વધુ સારો છે. તે સવારનું દૂધ બજારમાં વેચે છે અને સાંજનું દૂધ માવા, પનીર, દહીં અને મઠ્ઠો તૈયાર કરીને વેચે છે. આનાથી તેમને સારી આવક મળે છે.
ગાયકવાડ કહે છે કે ઓર્ગેનિક ખાતર તરીકે તેઓ વર્મી કમ્પોસ્ટ પણ બનાવે છે, જેનું વેચાણ તેમને સારી કમાણી સાથે ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત પણ કરે છે. તેમણે જણાવ્યું કે તેઓ ખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે વાર્તાલાપ કરીને કૃષિ ક્ષેત્રે આવેલી નવી ટેક્નોલોજી સાથે પોતાનું કામ અને જ્ઞાન વધારતા રહે છે.
હવે આસપાસના ગામોના ખેડૂતો પણ જયરામ પાસેથી માર્ગદર્શન લેવા આવવા લાગ્યા છે. કારણ કે હવે ઓર્ગેનિક ખેતી પર વધુ ચર્ચા થઈ રહી છે. ગાયકવાડે સાબિત કર્યું છે કે જો ખેડૂત રાસાયણિક મુક્ત (Chemical Free Farming) ખેતી યોગ્ય રીતે કરે તો તેને નુકસાન થતું નથી.
આ પણ વાંચો: Viral: ખતરનાક સાપને પકડતા મહિલા વનકર્મીની બહાદુરીના લોકો કરી રહ્યા છે વખાણ
આ પણ વાંચો: શું વિટામિન ડી પોસ્ટ કોવિડ -19 ની તીવ્રતા ઘટાડે છે? જાણો શું કહે છે અભ્યાસ