Modi Cabinet Meeting : બુધવારે મહત્વનો નિર્ણય લઈને નરેન્દ્ર મોદી સરકારની (Narendra Modi Government) કેબિનેટ બેઠકે ખેડૂતોને મોટી રાહત આપી છે. કેબિનેટ અને CCEAની મહત્વની બેઠકમાં કેન્દ્ર સરકારે ખરીફ પાક પર લઘુત્તમ ટેકાના ભાવમાં (Minimum Support Price) વધારો કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય પછી, ડાંગર, સોયાબીન, મકાઈ વગેરે જેવા ખરીફ પાકોની MSP વર્ષ 2022-23 માટે વધશે અને ખેડૂતોને તેમના પાકની ઊંચી કિંમત મળશે. એવું માનવામાં આવે છે કે સરકાર ખરીફ પાકની MSP 5 થી 20% વધારી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં 2021-22 માટે ડાંગરની MSP 1940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 14 ખરીફ પાકો સહિત કુલ 17 પાકોની MSP વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે પાક વર્ષ 2022-23 માટે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સૂર્યમુખીના MSP પર મહત્તમ વધારો કરવામાં આવ્યો છે. તેમાં કુલ 385 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે કોટન મિડિયમ ફાઈબરની MSPમાં 354 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સોયાબીનના ટેકાના ભાવમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અડદ, મગફળી, તુવેરના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મકાઈની MMP આ વખતે ગયા વર્ષની સરખામણીએ રૂ. 92 વધુ છે. રાગી પર 201 રૂપિયાનો વધારો થયો છે. સામાન્ય ડાંગર અને ગ્રેડ-એ ડાંગર પર 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે અમે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. 22 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. નાના ખેડૂતોને મજબૂત કરવા માટે 10,000 FPO ખોલવાની યોજના શરૂ કરવામાં આવી છે. અમારી સરકાર છેલ્લા 8 વર્ષથી ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે.
અનુરાગ ઠાકુરે એમ પણ કહ્યું કે મોદી સરકાર ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવા અને તેમની કમાણી વધારવા માટે પ્રતિબદ્ધ છે. અમે માત્ર એમએસપીમાં સતત વધારો જ નથી કરી રહ્યા પરંતુ વધુને વધુ ખરીદી પણ કરી રહ્યા છીએ. અમારી સરકારમાં કૃષિ બજેટમાં અનેકગણો વધારો થયો છે. એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ માટે 1 લાખની છૂટ આપવામાં આવી છે. અમે સિંચાઈથી લઈને વીમા સુધી, જમીનના સ્વાસ્થ્યથી લઈને ખેડૂતો માટે પેન્શન સુધી કામ કરી રહ્યા છીએ.
અગાઉ, રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ભારત પાસે ખરીફ તેમજ રવિ સિઝનની ખાતરની જરૂરિયાતને પહોંચી વળવા માટે યુરિયાનો પૂરતો સ્ટોક છે અને ડિસેમ્બર સુધી તેની આયાત કરવાની જરૂર રહેશે નહીં. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં ઘટાડો થયો છે અને એવી અપેક્ષા છે કે આગામી છ મહિનામાં તેના ભાવ હજુ વધુ નીચે આવશે.
Published On - 3:32 pm, Wed, 8 June 22