કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે ભારત પાસે વિશ્વના મોટા ભાગની ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવાની ક્ષમતા છે ઉપરાંત અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભર છે. ભવિષ્યની જરૂરિયાતો અને પડકારોને ધ્યાનમાં રાખીને દેશ વ્યૂહાત્મક યોજનાઓ સાથે આગળ વધી રહ્યો છે. ઉચ્ચ ખાદ્ય ઉત્પાદન જાળવી રાખવા માટે ઉત્પાદકતા વધારવી જરૂરી છે, તેના માટે દેશ પણ જાગૃત છે. ખેતીમાં ટેક્નોલોજી (Agriculture Technology)નો સમાવેશ કરીને, ખેડૂતો (Farmers)અને સિંચાઈ વ્યવસ્થા સુધી પહોંચ વધારવાથી ખેતીનો ખર્ચ ઘટશે અને આપણે ઉત્પાદન અને ઉત્પાદકતામાં પણ વધારો કરી શકીશું.
તોમરે આ વાત ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)દ્વારા આયોજિત લીડ્ઝ-2022 કોન્ફરન્સમાં કહી હતી. જેની થીમ ફૂડ ફોર ઓલ હતી. તેમણે કહ્યું કે અમે એ પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે ખેડૂતોની આવક સતત વધતી રહે અને દેશ અને વિશ્વની ખાદ્ય સુરક્ષામાં આપણું યોગદાન ચાલુ રહે. કોરોના રોગચાળા છતાં, ભારતના કૃષિ ક્ષેત્રમાં 3.9 ટકાનો નોંધપાત્ર વૃદ્ધિ દર જોવા મળ્યો છે. ઉપરાંત, આપણી કૃષિ નિકાસ રૂ. 4 લાખ કરોડના આંકડાને વટાવી ગઈ છે, જેને આપણે સતત વધારવી પડશે.
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2050 સુધીમાં વિશ્વની વસ્તી 900 કરોડને વટાવી જવાના અનુમાન સાથે, ખોરાકની માગમાં ઝડપથી વધારો થશે, જેનાથી કૃષિ હેતુ માટે, પશુઓ માટે ચરવાની જમીન અને ખાતર તથા આનુવંશિક રીતે સંશોધિત પાક માટે જમીનની વધુ જરૂર રહેશે. આવી સ્થિતિમાં ખેતી પર ઘણું ધ્યાન આપવું પડશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, તાજેતરના વર્ષોમાં દેશમાં કૃષિને અગ્રતા આપવામાં આવતા કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર રીતે વિસ્તરણ કર્યું છે. આપણે વિશ્વમાં બીજા સૌથી મોટા ખાદ્ય ઉત્પાદક તરીકે ઉભરી આવ્યા છીએ.
ભારતની ભૂગોળ, આબોહવા અને જમીન ખૂબ જ વૈવિધ્યસભર છે. આથી તે કૃષિ કોમોડિટીની વિશાળ શ્રેણીના ઉત્પાદનમાં કુદરતી રીતે ઉત્તમ છે. તોમરે કહ્યું કે આપણે અન્ય કોઈપણ રાષ્ટ્ર કરતાં વધુ પાક ઉગાડીએ છીએ. વિશ્વમાં સૌથી વધુ પાક સઘનતા ભારતમાં છે. ચોથા આગોતરા અંદાજ મુજબ, વર્ષ 2021-22માં ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન 315.72 મેટ્રિક ટન છે. ભારતને આત્મનિર્ભર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે સરકાર દેશના નાના ખેડૂતોને આગળ વધારવા માટે સતત કામ કરી રહી છે.
આ દિશામાં ઘણી મહત્વની યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે, જેથી ખેતીના પડકારો ઘટાડી શકાય અને ખેડૂતોની આવક વધારી શકાય. આ સાથે જ ભારત વિશ્વમાં કૃષિ ક્ષેત્રમાં નંબર 1 બનવાની સફરમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સિંચાઈ પ્રણાલીઓ, સંગ્રહ અને કોલ્ડ સ્ટોરેજ સહિત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધતા રોકાણને કારણે ભારતમાં કૃષિ ઉદ્યોગને આગામી વર્ષોમાં વધુ વેગ મળવાની અપેક્ષા છે. વધુમાં, આનુવંશિક રીતે સંશોધિત પાકોના વધુ પડતા ઉપયોગથી પણ ભારતીય ખેડૂતોની ઉપજમાં વધારો થવાની અપેક્ષા છે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ કેન્દ્ર સરકારનું લક્ષ્ય વર્ષ 2024-25 સુધીમાં મત્સ્ય ઉદ્યોગમાં 70 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાનો છે. સરકાર 2024-2025 સુધીમાં માછલીનું ઉત્પાદન વધારીને 220 લાખ ટન કરવાની અપેક્ષા રાખે છે. PLI યોજના આગામી 6 વર્ષમાં રૂ. 10,900 કરોડના પ્રોત્સાહન સાથે ફૂડ પ્રોસેસિંગ માટે લાગુ કરવામાં આવી રહી છે, જ્યારે કૃષિ ઉડાન યોજના હેઠળ હવાઈ પરિવહન દ્વારા કૃષિ ઉત્પાદનોની હેરફેર માટે સહાય-પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તે ખાસ કરીને આદિવાસી વિસ્તારો માટે ફાયદાકારક છે.