કેન્દ્રની નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ માટે ખેતીની પદ્ધતિઓમાં ફેરફાર અને યોગ્ય પાકની પસંદગી સહિતની વિવિધ યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. પરંપરાગત પાકોની ખેતી ઘટાડવા અને માગ આધારિત અને રોકડિયા પાકોની ખેતી પર ભાર મૂકવાની વાત છે. દરમિયાન, કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ખેડૂતોની આવક (Farmers Income) વધારવા અને ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે અમુક પાકની ખેતીને મદદરૂપ ગણાવી છે.
તેમણે કહ્યું કે ખેડૂતોની આવક વધારવા અને ખાદ્યતેલોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા મકાઈ, સરસવ અને મગની ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (કૃષિ વિસ્તરણ) અને કેન્દ્ર સરકારના કૃષિ કમિશનર એ.કે. સિંહે પણ કૃષિ ક્ષેત્રમાં ડ્રોન જેવી ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂક્યો હતો.
એક નિવેદન અનુસાર, આ ચર્ચામાં એકે સિંહે કહ્યું, ‘ઘઉં અને ચોખા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પાક વૈવિધ્યકરણને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપવું જોઈએ. અંગ્રેજીના ત્રણ ‘M’ અક્ષરોથી શરૂ થતા મકાઈ, મગ અને સરસવ (Mustard)ની ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. તે દેશને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી શકે છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સરસવના વાવેતરમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે ખેડૂતોને ખુલ્લા બજારમાં લઘુત્તમ ટેકાના ભાવ કરતાં ઘણો ઊંચો દર મળ્યો છે. સરકારને આશા છે કે જો ખેડૂતોનો સરસવની ખેતી તરફનો વલણ આ જ રીતે ચાલુ રહેશે તો તેલની આયાત ઘટાડવામાં મદદ મળશે.
ભારત તેની સ્થાનિક ખાદ્યતેલની જરૂરિયાતના લગભગ 60 ટકા આયાત કરે છે. કઠોળની પણ ઓછી માત્રામાં આયાત કરવામાં આવે છે. એકે સિંઘે આધુનિક ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો અને કૃષિ સંશોધન સંસ્થાઓને વહેલી તકે ડ્રોનના ઉપયોગ માટે પ્રોટોકોલ વિકસાવવા આહ્વાન કર્યું હતું.
તેમણે કહ્યું, ‘અમને અગાઉથી વિવિધ પાકો માટે આકસ્મિક યોજનાની પણ જરૂર છે જેથી ખેડૂતો તેને અપનાવી શકે.’ આ પરામર્શ બેઠકમાં 33 કૃષિ વિદ્યાલય કેન્દ્રો (KVKs) ના ઘણા પ્રતિષ્ઠિત કૃષિ વૈજ્ઞાનિકો તેમજ ICAR ના વૈજ્ઞાનિકોએ હાજરી આપી હતી. તેમાં નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ અગ્રણીઓ અને ખેડૂતોની ભાગીદારી પણ જોવા મળી હતી.