ભારત સરકારની પહેલને પગલે સંયુક્ત રાષ્ટ્ર વર્ષ 2023ને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ (International Year of Millet 2023)તરીકે ઉજવવા જઈ રહ્યું છે. જેના સમર્થનમાં અત્યાર સુધી દુનિયાના 72 દેશો આવી ચુક્યા છે. તો સાથે જ અન્ય દેશો પણ સમર્થનમાં આવે તેવી અપેક્ષા છે. દરમિયાન, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે દેશમાં બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કર્ણાટકમાં બે મિની કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી (Finance Minister)નિર્મલા સીતારમણે નેમીલેટ ઈનોવેશન ચેલેન્જ હેઠળ એગ્રી સ્ટાર્ટઅપ્સ માટે કરોડો રૂપિયાના પ્રોત્સાહનની જાહેરાત કરી હતી.
ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ 2023 નિમિત્તે, કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી, રાયચુર અને નાબાર્ડે કૃષિ અને સંલગ્ન વિભાગોના સહયોગથી બે દિવસીય મિલેટ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું. જેમાં ખેડૂતો, એફપીઓ, ઉદ્યોગસાહસિકો, એગ્રી-સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો, નિકાસકારો, કૃષિ વૈજ્ઞાનિકો, નાબાર્ડ અને અગ્રણી બેંકો અને વિકાસ વિભાગો સાથે પોષણ-અનાજ ઉત્પાદન અને મૂલ્યવર્ધન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ અવસરે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બાજરીને ફૂડ થાળીમાં સન્માનજનક સ્થાન આપવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે બાજરીના મહત્વને આપણે દુનિયાની સામે લાવવાનું છે. તોમરે દેશ અને દુનિયામાં બાજરીનો પ્રચાર કરવા વિનંતી કરતા કહ્યું કે બાજરી એ પ્રાચીન પાક છે, જેનો ઉલ્લેખ ભારતીય ગ્રંથ- યજુર્વેદના શ્લોકોમાં પણ છે, જ્યારે કવિ કાલિદાસની અનન્ય કૃતિ ‘અભિજ્ઞાન શાકુંતલમ’માં પણ બાજરીનો ઉલ્લેખ છે.
તેમણે કહ્યું કે ભૂતકાળમાં દેશની તાત્કાલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હરિયાળી ક્રાંતિ થઈ હતી અને ઘણા નિર્ણયોના પરિણામે ઘઉં અને ચોખામાં વધારો થયો હતો. આજે દેશમાં અનાજની પૂરતી ઉપલબ્ધતા છે, હવે આપણે ફરીથી બાજરી તરફ આગળ વધવું પડશે. આ દરમિયાન કૃષિ મંત્રીએ ખેડૂતો અને ખેતી માટે ચાલતી યોજના વિશે પણ માહિતી આપી હતી.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કર્ણાટકમાં કૃષિ ક્ષેત્ર સહિત અન્ય યોજનાઓ સફળતાપૂર્વક ચલાવવા બદલ મુખ્યમંત્રી બોમાઈની પ્રશંસા કરી અને કહ્યું કે કર્ણાટક આગળ વધી રહ્યું છે. દેશમાં સૌપ્રથમવાર કર્ણાટકમાં કૃષિ ક્ષેત્રનું ડિજીટલાઇઝેશન પારદર્શક રીતે કરવામાં આવ્યું છે. રાજ્યમાં પોષક-અનાજ વિસ્તાર વધારવા માટે રાહ સિરી યોજના શરૂ કરી બાજરીના વિસ્તારને વિસ્તારવાની યોજના બનાવીને ખેડૂતોને ડીબીટીમાંથી રૂ.10 હજાર રૂપિયાનું પ્રોત્સાહન કરવામાં આવે છે. બાજરી પ્રોસેસિંગ મશીનરી ગોઠવવા માટે 10 લાખ રૂપિયા (50 ટકા સબસિડી) સુધીની સહાય પૂરી પાડીને બાજરીની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે.
આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મિલેટ ઈનોવેશન ચેલેન્જ હેઠળ સારું કામ કરી રહેલા એગ્રી સ્ટાર્ટઅપ્સને એક-એક કરોડ રૂપિયાના ત્રણ પુરસ્કારોની જાહેરાત કરી. આ ઉપરાંત 15 એગ્રી સ્ટાર્ટઅપને 20-20 લાખ રૂપિયા અને અન્ય 15 એગ્રી સ્ટાર્ટઅપને 10-10 લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી હતી તેમને બાજરી સંશોધન માટે નાબાર્ડ તરફથી કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી, રાયચુરને રૂ. 25 કરોડ આપવાની પણ જાહેરાત કરી હતી.
બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી બોમ્માઈએ કૃષિ ક્ષેત્રે રાયચુર યુનિવર્સિટીના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધનનો લાભ ખેતરો સુધી પહોંચવો જોઈએ. તેમણે સરકારને વિનંતી કરી હતી કે કોન્ક્લેવના તારણો વહેલામાં વહેલી તકે રિપોર્ટના રૂપમાં આપવામાં આવે. તેમણે રાજ્યમાં બાજરીના વિસ્તાર વિશે વાત કરી અને તેને આગળ વધારવા માટે તમામ શક્ય પગલાં ભરવાની વાત કરી.