પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ખેડૂતોને આર્થિક સહાય આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો (Farmers)ને વર્ષમાં ત્રણ હપ્તામાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. ખેડૂતોને હપ્તા દીઠ બે હજાર રૂપિયા મળે છે. હવે આ યોજના હેઠળ ખેડૂતોને 10 હપ્તા ચૂકવવામાં આવ્યા છે. આ વખતે સ્કીમનો 11મો હપ્તો 31 મેના રોજ ચૂકવવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વર્ષ 2022-22માં લાભાર્થી ખેડૂતોના ખાતામાં 66,664 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જેના કારણે દેશના ખેડૂતોને આર્થિક લાભ મળી રહ્યો છે.
ભારતીય કૃષિ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટ અનુસાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, શરૂઆતથી અત્યાર સુધીમાં લાભાર્થી પરિવારોના ખાતામાં 1.82 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી છે. પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ અરજી કરવાની રહેશે. ત્યારબાદ આ યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે. યોજનાનો લાભ લેવા માટે, ખેડૂતોને KYC કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેની છેલ્લી તારીખ અગાઉ 31 માર્ચ સુધી રાખવામાં આવી હતી, ત્યારબાદ આ તારીખ લંબાવીને 31 મે કરવામાં આવી છે.
31 મેના રોજ, પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો ફક્ત તે ખેડૂતોના ખાતામાં આવશે જેમણે 31 મે સુધી KYC કર્યું છે. KYC અપડેટ કરવા માટે, ખેડૂતો PM કિસાનની વેબસાઈટ પર જઈને જાતે કરી શકે છે અથવા કોઈપણ નજીકના CSCનો સંપર્ક કરી શકે છે. KYC માટે મોબાઈલમાં OTP આવે છે. PM કિસાન વેબસાઈટની મુલાકાત લેવા પર, સ્ક્રીનની જમણી બાજુએ KYC અપડેટ કરવાનો વિકલ્પ છે. પીએમ કિસાન સન્માન નિધિ સંબંધિત વધુ માહિતી માટે, તમે 155261 અને 011-24300606 નંબર પર પણ કૉલ કરી શકો છો.
પીએમ કિસાન યોજનામાં ગરબડના સમાચાર પણ સામે આવ્યા હતા. આ યોજના હેઠળ ઘણા એવા લોકો આનો લાભ લઈ રહ્યા હતા, જેઓ સરકારી નોકરીમાં છે અથવા તો આ યોજનાનો લાભ લેવા માટે લાયક નથી. ઉત્તર પ્રદેશમાંથી આવો મામલો સામે આવ્યા બાદ તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમને નોટિસ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે તેઓ આ યોજના હેઠળ તેમને અત્યાર સુધી જે પૈસા મળ્યા છે તે નિર્ધારિત સમયમાં જમા કરાવે. ઝારખંડમાં પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદીમાં એવા નામ છે જેઓ સરકારી નોકરીમાં છે. એલઆઈસી એજન્ટ અથવા વડા રહી ચૂક્યા છે.