રાજકોટમાં ખુલ્લેઆમ લૂંટ ચલાવીને પોલીસને પડકાર ફેંકનાર બે સગીર સહિત ચારની પોલીસે ધરપકડ કરી છે. ભણવાની ઉંમરમાં પોતાના મોજશોખ માટે લૂંટના રવાડે ચડી ગયેલા યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસના સકંજામાં આવ્યા બાદ આ ટોળકીના વધુ કેટલાક કારનામાઓનો પણ પર્દાફાશ થયો છે.
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ગત 18મી તારીખના રોજ લૂંટ ચલાવનાર ટોળકીને પોલીસે પકડી પાડી છે.રાત્રીના સમયે ફરીયાદી પોતાના ભાઇને ફોન કરવા માટે ઉભા રહ્યા હતા. ત્યારે છરીની અણીએ ત્રણ શખ્સોએ વેપારી પાસે રહેલા રોકડ રૂપિયા અને મોબાઇલની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી અને સીસીટીવી ફુટેજની મદદથી આ શખ્સોની શોધખોળ શરૂ કરી હતી. બાઇકમાં નંબર પ્લેટ ન હતી.
જોકે સીસીટીવીમાં એક આરોપીના વર્તણુકની પોલીસને જાણ થઇ. અને, બાતમીદારોના નેટવર્કની મદદથી ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે પકડેલા આરોપીઓમાં એક ધ્રુવરાજસિંહ ગોહિલ જ્યારે બે સગીર આરોપીઓ છે. પોલીસે આ આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલો 51 હજાર રૂપિયાનો મુ્દ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આ ટોળકીની વધુ પુછપરછ કરી.
ત્યારે ધ્રુવરાજે કબુલાત આપી હતી કે તેમણે અગાઉ મનીષ ઉર્ફે ઢોલકી અને પરેશ ઉર્ફે મદારી સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હતો. આ ટોળકીએ અઢી મહિના પહેલા આજીડેમ વિસ્તારમાં લૂંટ ચલાવી હતી. અને, તે બાદ ફરાર હતા જેના આધારે પોલીસે મનીષ ઉર્ફે ઢોલકીને પકડીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ત્રણેક મહિના પહેલા ગોંડલ રોડ પર પણ આ પ્રકારે એક બાઇક સવારને આંતરીને તેની પાસેથી 18 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી.
પોલીસના કહેવા પ્રમાણે આ ટોળકી પોતાના મોજશોખ પૂરા કરવા માટે લૂંટના રવાડે ચડી હતી.આ ટોળકી સામાન્ય રીતે રાત્રીના સમયે શિકાર માટે નંબર પ્લેટ વગરના બાઇકમાં ત્રિપલ સવારી નીકળી પડતી હતી. અને જે પણ વિસ્તારમાં કોઇ એકલ દોકલ વ્યક્તિ જોવા મળે. તુરંત જ છરીની અણીએ તેની સાથે લૂંટ ચલાવીને ફરાર થઇ જાય છે.
લૂંટ કર્યા બાદ તેઓ સીસીટીવીમાં ન આવે તેની પણ ખાસ તકેદારી રાખતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. શહેરમાં જે ત્રણ લૂંટ ચલાવી તેમાં તેમણે આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો છે. જોકે આ ટોળકીએ આ ત્રણ સિવાય અન્ય કેટલી લૂંટને અંજામ આપ્યો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
હાલ પોલીસ આ ટોળકીના અન્ય એક સાગ્રીતની શોધખોળ કરી રહી છે.પોલીસ આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલી લૂંટ ચલાવી છે તે માટે પકડાયેલા બંન્ને પુખ્તવયના આરોપીઓના રિમાન્ડ લઇને વધુ તપાસ હાથ ધરશે.જોવાનું રહેશે આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા ગુનાઓને અંજામ આપ્યા.