Rajkot: કાલાવડ રોડ પર આવેલી રવિ પાર્ક સોસાયટીમાં બ્યુટીપાર્લર સંચાલિકા સગર્ભા મહિલાને તેના પૂર્વ પતિએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. હત્યા કરીને આરોપી ફરાર થયો હતો ત્યારે ત્યાંથી પસાર થનાર રાહદારીએ માધાપર ચોકડી સુધી પીછો તેનો કરીને આકાશ રામાનુજ મોર્ય નામના શખ્સને પકડી પાડી પોલીસને સોંપી દીધો હતો.
સરિતા ચાવડા નામની મહિલા તેના પતિ પંકજ સાથે પોતાના ઘરે જમવા બેઠા હતા ત્યારે બપોરે 1 વાગ્યાના સમયમાં આકાશ ત્યાં આવી પહોંચ્યો હતો અને સરિતા અને પંકજ સાથે બોલાચાલી થઈ હતી અને તે ઉગ્ર બનતા આકાશે પોતાની પાસે રહેલા દેશી કટ્ટાથી સરિતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
હત્યાના બનાવને અંજામ આપ્યા બાદ આકાશ ત્યાંથી ફરાર થયો સરિતાના પતિ પંકજે તેનો પીછો કરવાની કોશિશ કરી પરંતુ પંકજ પડી ગયો હતો દરમિયાન ત્યાંથી પસાર થનાર કૃણાલ ચુડાસમા અને તેના મિત્રોએ પોતાની કારમાં પીછો કર્યો હતો આગળ જતા આકાશ એક રિક્ષામાં બેસી ગયો હતો તેના નંબર લખીને કુણાલ અને તેના મિત્રોએ તેનો પીછો કર્યો હતો માધાપર ચોકડી ખાતે રિક્ષાની ઓવરટેક કરીને ટ્રાફિક પોલીસની મદદથી આકાશ ને પકડી પાડવામાં આવ્યો હતો. બાદમાં પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો
રાજકોટ ડીસીપી મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે આકાશ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. 4 વર્ષ પહેલા આકાશ અને સરિતાના લગ્ન થયા હતા જોકે તે બાદ સરિતા તેને છોડીને ગુજરાત આવી ગઈ હતી જે બાદ 4 લાખ રૂપિયાની લેતીદેતી ને લઈને એક મહિના પહેલા પણ આકાશ સરિતાના ઘરે આવ્યો હતો અને હંગામો મચાવીને નીકળી ગયો હતો. આજે આ રૂપિયાની લેતીદેતી ને લઈને તે ઘરે આવ્યો અને સરિતાનું ઢીમ ઠાળી દીધું હતું.