ચોરી કરેલી વેક્સિન પાછી મુકતાં ચોરે લખ્યું – ‘સોરી, ખબર ન હતી કોરોનાની વેક્સિન છે’
હરિયાણામાં એક રસપ્રદ ઘટના સામે આવી છે. વાત એમ છે કે સિવિલ હોસ્પિટલમાં વેક્સિનની ચોરી થઇ હતી પરંતુ ચોરને ખબર પડી કે આ કોરોનાની વેક્સિન છે, ટે વેક્સિન પાછી મૂકી ગયો હતો. સાથે એક ચિટ્ઠી પણ મૂકી હતી.
કોરોના વાયરસના રોગચાળાને રોકવા માટે દેશભરમાં મોટા પાયે રસી આપવામાં આવી રહી છે. દરમિયાન શુક્રવારે સવારે હરિયાણાના જીંદથી સમાચાર આવ્યા કે ત્યાની સિવિલ હોસ્પિટલમાંથી કોરોના વેક્સિનના ડોઝ ચોરાઇ ગયા છે. આ સમાચાર ફેલાતાંની સાથે જ હોસ્પિટલ વહીવટી તંત્રમાં હંગામો મચી ગયો હતો.
સાંજ સુધીમાં એક બાઇક સવાર સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની સામે ચાની દુકાન પર ગયો, પ્લાસ્ટિકની થેલીમાં 622 ડોઝ મૂકી અને ચાલ્યો ગયો. ચોરે તેની સાથે એક નોંધ છોડી હતી જેમાં લખ્યું હતું કે – ‘મને માફ કરો. ખબર નહોતી કે આમાં કોરોનાની વેક્સિન છે. ‘ આ વિચિત્ર ઘટનાની સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા થઇ રહી છે.
નોંધપાત્ર વાત એ છે કે, જીંદની સિવિલ હોસ્પિટલમાંથી 1270 કોવશીલ્ડ અને કોવાક્સિનના 440 ડોઝની ચોરીની જાણ થઈ હતી. આ સાથે ફાઇલની પણ ચોરી થઈ હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસને બે લોકો સીસીટીવી ફૂટેજમાં ચોરી કરતા જોવા મળ્યા હતા, જેમની ઓળખ કરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.
પોલીસ હજુ વધુ તપાસ કરે તે પહેલા, સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની સામેની ચાની દુકાન પર ચોર આમાંથી 622 નો ડોઝ મુકીને જતો રહ્યો. જેમાં કોવાક્સિનની 440 શીશીઓ અને કોવિસિલ્ડની 182 શીશીઓ શામેલ છે. હવે પોલીસ બાકીની વેક્સિન રિકવર કરવાનો પ્રયાસ કરી રહી છે.
હોસ્પિટલના ફ્રીઝરમાં રાખેલી વેક્સિન લઈને ભાગ્યો હતો ચોર
એવું કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે સાંજે સિવિલ હોસ્પિટલના પી.પી. સેન્ટરમાં બચેલી વેક્સિનના 1710 ડોઝ ફ્રીઝરમાં રાખવામાં આવ્યા હતા. આમાં કોવિશિલ્ડના 1270 ડોઝ અને કોવાક્સિનના 440 ડોઝ શામેલ હતા. જ્યારે ગુરુવારે સવારે રસી ગુમ થઈ જતાં હોસ્પિટલમાં અરાજકતાનું વાતાવરણ સ્થપાયું હતું. લોકોમાં એવી ચર્ચા છે કે હોસ્પિટલના કામદારોની સાથે મળીને રસીના ડોઝ ચોરી કરવામાં આવ્યા છે. હાલમાં સિવિલ લાઇન પોલીસ મથકે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
લોકોમાં એ વાતની પણ ચર્ચા છે કે જો ચોર 622 જ ડોઝ પાછા મૂકી ગયો તો બાકીના ડોઝ ક્યાં ગયા. શું ખરેખર 1710 ડોઝની ચોરી થઇ હતી? વેક્સિન પાછી મૂકી જનાર ચોરે 1710 ડોઝ ચોર્યા હતા? કે એણે માત્ર 622 જ ડોઝ ચોર્યા હતા? જો આ સત્ય છે તો બાકીના ડોઝ ક્યાં ગાયબ થઇ ગયા? આ બધા સવાલો ઉભા થઇ રહ્યા છે. જેના જવાબ શોધવા પોલીસ કાર્ય કરી રહી છે.
આ પણ વાંચો: કોરોનાની સારવાર માટે સરકારની નવી ક્લિનિકલ ગાઈડન્સ, જાણો દર્દીને ક્યારે કઈ સારવાર અપાશે