RAJKOT :રાજકોટમાં કરોડોનું કૌંભાડ આચરનાર રામેશ્વર સહકારી મંડળીના સંચાલકોની મિલ્કતો ટાંચમાં લેવાનો ગૃહ વિભાગે આદેશ કર્યો છે. ગૃહ વિભાગના આ આદેશને પગલે પ્રાંત અધિકારીએ રામેશ્વર સહકારી મંડળીની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.ગૃહ વિભાગે મંડળીના સંચાલક સંજય દુધાગરા,ગોપાલ રૈયાણી અને વિપુલ વસોયાની રાજકોટ અને જામનગર જિલ્લાની કુલ 12 જેટલી મિલકતો ટાંચમાં લેવાનો ઓર્ડર આપ્યો છે.
આવતીકાલે લેવાશે પ્રથમ મિલ્કત ટાંચમાં
આ અંગે પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે ગૃહ વિભાગના આદેશ બાદ જિલ્લા કલેક્ટરના આદેશ પ્રમાણે રામેશ્વર સહકારી મંડળીના માલિકોની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે,આવતીકાલે 8 સપ્ટેમ્બરના રોજ પ્રથમ મિલકત નાનામૌવા ખાતે આવેલો પ્લોટ ટાંચમાં લેવાશે, જેની કિંમત 2.50 કરોડ છે.પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને આ મિલકતને ટાંચમાં લેશે.
આટલી મિલકતો ટાંચમાં લેવાશે
1.હડાળામાં 2 કરોડની ખેતીની જમીન
2.હડાળામાં ચાર પ્લોટ – 115 કરોડ
3.કાગદડીમાં 20 લાખનો પ્લોટ
4.નાનમૌવામાં 2.50 કરોડનો પ્લોટ
5.વાગડીયામાં 66 લાખની ખેતીની જમીન
6.વાણીયામાં 25 લાખની ખેતીની જમીન
7.વાણીયામાં 25 લાખની ખેતીની જમીન
8.ભલસાણમાં 60 લાખની ખેતીની જમીન
10.ભલસાણમાં 50 લાખની ખેતીની જમીન ટાંચમાં લેવામાં આવશે
રોકાણકારોને તગડું વ્યાજ આપવાની લાલચ આપી હતી
ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા રામેશ્વર સહકારી મંડળીના સંચાલકો સામે ફરિયાદ નોંધાઇ હતી જેમાં 2365 લોકો પાસેથી 41.98 લાખ રૂપિયા પરત નહિ આપીને છેતરપિંડી આચરી હતી.રામેશ્વર સહકારી શરાફી મંડળીમાં સંકળાયેલા શખ્સો 10 થી લઇને 30 ટકા સુધી વ્યાજ આપવાની લાલચ આપતા હતા, જેમાં અનેક મધ્યમ વર્ગીય પરિવારોએ રોકાણ કર્યુ હતું. જો કે રોકાણકારોને પાકતી મુદ્દતે રૂપિયા પરત આપવાના બંધ કરતા મામલો સામે આવ્યો હતો.અંતે જાન્યુઆરી માસમાં આ મંડળીના સંચાલકો સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
રોકાણકારોને રૂપિયા પરત આપવા અંગે કોર્ટ કરશે કાર્યવાહી
રામેશ્વર સહકારી મંડળીના માલિકોની મિલકતો જપ્ત કર્યા બાદ કોર્ટ આદેશ કરશે અને ત્યારબાદ કોર્ટના આદેશ મુજબ રોકાણકારોને તબક્કાવાર રૂપિયા ચૂકવવામાં આવશે.સામાન્ય સંજોગોમાં આવા કિસ્સાઓમાં કોર્ટ ટાંચમાં લીધેલી મિલકતોની રકમ ભરપાઇ કરવા માટે એક તક આપતી હોય છે અને જો ભરપાઇ ન કરવામાં આવે તો મિલકતની હરરાજી કરીને રોકાણકારોને રૂપિયા પરત આપવામાં આવતા હોય છે.
આ પણ વાંચો : કોંગ્રેસ MLA કિરીટ પટેલે શિક્ષણપ્રધાનને લખ્યો પત્ર, શિક્ષકોના કામના કલાકો વધારવા મુદ્દે આંદોલનની ચીમકી આપી
આ પણ વાંચો : બરોડા ડેરી વિવાદમાં આખરે ઘી ના ઠામમાં ઘી ઢોળાયું, ચેરમેન દીનુમામા અને MLA કેતન ઈનામદાર વચ્ચે સમાધાન
Published On - 4:23 pm, Tue, 7 September 21