દાહોદમાં (Dahod) કુકડા બજારમાં ચપ્પુના ઘા ઝીંકીને કરવામાં આવેલી હત્યાના (Murder) આરોપી મુસ્તફા સાકીર ઉર્ફે બાદશાહ શેખને અંતે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે (Dahod Crime Branch) ઝડપી પાડયો છે. દાહોદ પોલીસે જુદી જુદી આઠ ટીમો બનાવી હત્યારાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા મળી છે. આરોપીને પકડીને પોલીસે હત્યા કરવા પાછળનું કારણ જાણવા પુછપરછ હાથ ધરી છે.
દાહોદ શહેરમાં યુનુસ કતવારા નામના વ્યક્તિની ભર બજારમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને આ હત્યા સોપારી આપીને કરવામાં આવી હોવાની આશંકા હતી. જેને લઇને પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસને હત્યા કરવા પાછળ જમીન અથવા નાણા લેતીદેતી હોવાની આશંકા હતી. જે પછી પોલીસે તપાસ તેજ કરતા અંતે આરોપી સકંજામાં આવી ગયો છે.
ઘટના કઇક એવી હતી કે દાહોદ શહેરના દેસાઇવાડ સ્થિત કુકડા ચોકમાં સાંજના સુમારે એક જમીન દલાલની ચપ્પુના પાંચથી વઘુ ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. ભર બજારમાં હત્યાની ઘટના બનતા લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે રસ્તેથી પસાર થતી વખતે બાઇક ખસેડવાની વાતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ અદાવત રાખીને હુમલો કરાયો હોવાનું પણ મનાઇ રહ્યુ છે. જોકે, ભરબજારે આટલી ક્રુરતા અને ઝનુનથી હત્યા કરવા માટે સોપારી અપાઇ હોવાની પણ એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મૃતક યુનુસભાઇ અકબરભાઇ હામીદી દાહોદના હમીદી ફળિયામાં રહેતાં હતા અને જમીન અને મકાન દલાલીનો ધંધો કરતાં હતાં. મૃતક યુનુસભાઇ સાંજના 5.30 વાગ્યાના સમયે પોતાની બાઇક લઇને જઇ રહ્યા હતાં. ત્યારે દેસાઇવાડ સ્થિત કુકડા ચોકમાં સાંકડા રસ્તે ટ્રાફિક થતાં બાઇક કાઢવાના મુદ્દે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારે અજાણ્યા બાઇક સવારે ચપ્પુ કાઢીને યુનુસભાઇની છાતીના ભાગે ઘા કરી દીધા હતાં. હત્યા બાદ આરોપી બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના બાદ સમગ્ર વિસ્તારના સીસીટીવી ફંફોસી દીધા હતા.
યુનુસભાઇને ચપ્પુના ઘા ઝીંકી હુમલાખોર ફરાર થઇ ગયો હતો. હત્યારાએ એટલી ક્રુરતા પૂર્વક હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો કે ચપ્પુ અડધુ યુનુસભાઇના પેટમાં રહી ગયુ હતુ. જે પછી ઇજાગ્રસ્ત યુનુસભાઇને તાત્કાલિક રિક્ષામાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.