અમદાવાદ જીલ્લાના બાવળામાં આવેલા ભાગ્યશ્રી સોસાયટીમાં હિંસક જુથ અથડામણ થઇ છે. જેમાં એક નિવૃત આર્મી જવાનની ઘટના સ્થળ પર હત્યા કરવામાં આવી છે. જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજા પામ્યો છે. ભાગ્યશ્રી સોસાયટીમાં બનેલી આ ઘટનામાં હર્ષદ ઉર્ફે હસમુખ ગઢવીએ નિવૃત આર્મી જવાન જયપાલસિંહ ગંભીરસિંહ ગઢવી ઉપર છરી વડે હુમલો કર્યો હતો જેમાં તેનું મોત થયુ છે.
જ્યારે જયપાલસિંહને બચાવવા માટે પડેલા અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ કૃણાલ નવલસિંહ ગઢવી ઉપર પણ હસમુખ ગઢવી અને તેના પરિવારે છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી ગઢવી સમાજમાં શોક ફેલાયો છે. પરિવારે આરોપીઓને સજા મળે તેવી માંગ કરી છે.
આ હત્યાના કેસમાં તપાસ કરતા ખુલ્યું છે કે, મૃતક અને આરોપીઓ સંબધીઓ થાય છે અને મૂળ રણાસર ગામના છે. આ ગામમાં આરોપી હસમુખની પત્ની રેણુકા સરપંચ હતી. પરંતુ રેણુકાને સરપંચ પદેથી સસ્પેન્ડ કર્યા હતા. જેથી આરોપીઓને મૃતકના કારણે સસ્પેન્ડ કર્યા હોવાનું મનદુઃખ હતું. જેથી ગઈ કાલે રાત્રે ગઢવી સમાજનું વોટ્સએપ ગ્રુપમાં કોઇક ચેંટીગ બાબતે મામલો બીચક્યો હતો. ચેંટીગ વિવાદાસ્પદ હોવાથી હસમુખ ગઢવી અને જયપાલ સિંહ ગઢવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
બન્ને બાજુબાજુની સોસાયટીમાં રહેતા હોવાથી જયપાલસિંહ અને કુણાલ હસમુખના ઘરે પહોંચ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા હસમુખે સોસાયટીમાં બધાની સામે ઉપરાછાપરી જપયાલસિંહ ઉપર છરીના ઘા ઝીંકી દીધા હતા. આ હિંસક ઘટનામાં જયપાલસિંહનું ઘટના સ્થળે મોત થયુ હતું જ્યારે કૃણાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બાવળા પોલીસે જયપાલસિંહની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસ શરૂ કરી છે.
બાવળા પોલીસે હત્યાના કેસમાં હસમુખ ગઢવી, તેની પત્ની રેણુકા ગઢવી, પુત્ર પૃથ્વી ગઢવી અને ભાઈ સુરેશ ગઢવી વિરુદ્ધ ગુનો નોંધીને હસમુખ ગઢવીની ધરપકડ કરી છે. જ્યારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.