LOCKDOWN IN UP : ઉત્તરપ્રદેશમાં વિકેન્ડ લોકડાઉન જાહેર, દરરોજ નાઈટ કર્ફ્યુની પણ જાહેરાત
LOCKDOWN IN UP : શુક્રવારે રાત્રે આઠ વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણ વીકએન્ડ લોકડાઉન લાગુ.
LOCKDOWN IN UP : ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં વિકેન્ડ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. શુક્રવારે રાત્રે આઠ વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણ વીકએન્ડ લોકડાઉન રહેશે. આ ઉપરાંત રાજ્યભરમાં આજે 20 એપ્રિલને મંગળવારથી જ નાઈટ કર્ફ્યુ લાગુ કરવાની પણ જાહેરાત કરી દીધી છે. રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે ટીમ-11 સાથેની બેઠકમાં આ સૂચના આપી હતી. હાલના તબક્કે ફક્ત એવા જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો જ્યાં સ્થિતિ વધુ ખરાબ હતી પરંતુ કોરોના સંક્રમણની સતત વધતી જતી ગતિને ધ્યાનમાં રાખીને સરકારે બે દિવસના વિકેન્ડ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે.
ઉત્તરપ્રદેશના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અવનીશ કે. અવસ્થીએ જણાવ્યું હતું કે શનિ અને રવિવારે ઉત્તરપ્રદેશમાં વિકેન્ડ લોકડાઉન (LOCKDOWN IN UP) લાગુ કરવામાં આવશે. લોકડાઉન શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી લાગુ કરવામાં આવશે અને સોમવારે સવારે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. ફક્ત આવશ્યક સેવાઓને મંજૂરી આપવામાં આવશે.આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવશે.
પ્રવાસીઓ પર તકેદારી રાખવામાં આવે : CM ઉત્તરપ્રદેશમાં વિકેન્ડ લોકડાઉન (LOCKDOWN IN UP) અંગેના નિર્દેશો આપતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પ્રવાસીઓ અંગે સરહદી જિલ્લાઓમાં વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે. મુખ્યપ્રધાને કહ્યું કે પ્રવાસીઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હીથી પાછા આવી રહ્યા છે. સરહદી જિલ્લાઓમાં વિશેષ તકેદારી રાખવાની જરૂર છે. આ પ્રવાસી શ્રમિકો માટે અવર-જવરની સરળ વ્યવસ્થા કરવી જોઈએ. ગૃહવિભાગ અને પરિવહન વિભાગે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. આ પ્રવાસી શ્રમિકોની તપાસ અને સારવાર માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ – 1) એલ -1, એલ -2 અને એલ -3 હોસ્પિટલોનું અલગથી નિરીક્ષણ કરીને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવું જોઈએ. દરેક હોસ્પિટલમાં ઓછામાં ઓછો 36 કલાકનો ઓક્સિજન બેકઅપ હોવો જરૂરી છે.
2)હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યના MSME સહિતના તમામ નાના મોટા ઔદ્યોગિક એકમોમાં ઉત્પન્ન થતાં ઓક્સિજનનો ઉપયોગ ફક્ત તબીબી કાર્ય માટે થાય છે તેની ખાતરી કરવી જોઈએ. આ ઓક્સિજન પ્લાન્ટનું નજીકની હોસ્પિટલ સાથે સંકલન કરવું જોઈએ. ઓક્સિજન રિફિલિંગના ક્ષેત્રમાં રોકાણ કરવા માંગતા ખાનગી એકમોને પ્રોત્સાહન આપવું જોઈએ. ઓક્સિજન ઉત્પાદકોના લાઇસન્સના ઓટો રીન્યુ અંગે તાત્કાલિક આદેશ આપવો જોઈએ.
3) બધાં ઓક્સિજન પ્લાન્ટ્સ પર પોલીસ સુરક્ષા થવી જોઈએ. ઓક્સિજન વાહનોનું જીપીએસ મોનિટરિંગ કરવું જોઈએ.
4) રાજ્યમાં પાંચ નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તે ટૂંક સમયમાં સક્રિય થવા જોઈએ. ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 100 થી વધુ બેડની ક્ષમતાવાળી તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલેશન ફરજિયાત કરવું જોઈએ. એયર સેપરેશન જેવી આધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું જોઈએ.