20 Crore Vaccination : અમેરિકા બાદ ભારતે 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ કર્યુ, 130 દિવસમાં હાંસલ કરી સિદ્ધી
20 Crore Vaccination : અમેરિકામાં 124 દિવસમાં, જયારે ભારતમાં 130 દિવસમાં 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ થયું.
20 Crore Vaccination : ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળતા નહોતા તો મૃત્યુ બાદ પણ સ્મશાન અને કબ્રસ્તાનમાં અંતિમવિધિ માટે રાહ જોવી પડી રહી હતી. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ હજી પણ દરરોજ હજારો લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. કોરોના સામેની આ લડતમાં રસી એકમાત્ર મજબૂત હથિયાર છે. ભારતે રસીકરણ અભિયાનમાં વધુ એક સિદ્ધી હાંસલ કરી છે.
દેશમાં 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ થયું ભારતમાં 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ (20 Crore Vaccination) પૂર્ણ થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ અંગે એક ટ્વીટમાં લખ્યું કે અમેરિકા બાદ ભારતે 20 કરોડથી વધુ લોકોને રસી આપી છે. ભારતે આ સિદ્ધી 130 દિવસમાં જ હાંસલ કરી છે. અમેરિકામાં 20 કરોડ લોકોનું રસીકરણ કરવામાં 124 દિવસ થયા હતા.
➡️ India crosses 20 Crore Cumulative #COVID19 Vaccination Coverage in 130 days.
➡️ After the USA, India is the 2nd country to achieve this mark.https://t.co/VHo4RvqA8E pic.twitter.com/R7VkRGJa3J
— Ministry of Health (@MoHFW_INDIA) May 26, 2021
અત્યાર સુધીમાં 20,04,94,991 લોકોનું રસીકરણ 20 કરોડથી વધુ લોકોના રસીકરણ (20 Crore Vaccination) અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 20 કરોડ 4 લાખ 94 હજાર 991 લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. 97,94,835 આરોગ્ય કમર્ચારીઓને રસીકરણનો પહેલો અને 67,28,443 આરોગ્ય કર્મચારીઓને રસીકરણનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
દેશમાં ત્રીજા તબક્કાનું રસીકરણ શરૂ થયા બાદ આત્યાર સુધીમાં 18 થી 44 વર્ષના 9,42,796 લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે તેમજ 60 વર્ષથી વધુ ઉમરના 42 ટકા લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. દેશમાં 16 જાન્યુઆરી 2021 ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) દ્વારા દેશવ્યાપી રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી.
રાજ્યોને 22 કરોડથી વધુ વેક્સિન આપવામાં આવી 20 કરોડથી વધુ લોકોના રસીકરણ (20 Crore Vaccination) અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડ-19 રસીના 1.77 કરોડથી વધુ ડોઝ હજી પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે.તેમજ રાજ્યોને આગામી ત્રણ દિવસમાં રસીના વધુ એક લાખ ડોઝ આપવામાં આવશે.
મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર દ્વારા રાજ્યમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્ય દ્વારા મફત કેટેગરીમાં અને સીધી ખરીદીમાં રસીના 22,00,59,880 ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં સહકાર આપવા માટે ભારત સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસીના ડોઝ વિનામૂલ્યે આપી રહી છે.