Tripura Buddhist University: ત્રિપુરા સરકારે શનિવારે સબરૂમ શહેરમાં મનુ બાંકુલ ખાતે બૌદ્ધ યુનિવર્સિટીની સ્થાપનાને મંજૂરી આપી છે. જેની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
તેઓએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની સ્થાપના માટે રાજ્ય સરકારે બહુજન હિતાય એજ્યુકેશન ટ્રસ્ટને પત્ર લખ્યો છે. આ યુનિવર્સિટીની સ્થાપના બાદ 31 દેશોના વિદ્યાર્થીઓને બૌદ્ધ સાહિત્ય, સંસ્કૃતિ અને પરંપરાના અભ્યાસની સાથે સંશોધન કરવાની તક મળશે.
આ ઉપરાંત કેમ્પસમાં મેડિકલ, ટેકનિકલ અને અન્ય જનરલ ડિગ્રી કોલેજો સ્થાપવાનું પણ આયોજન છે. ઉચ્ચ શિક્ષણ નિયામક નૃપેન્દ્ર ચંદ્ર શર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સબરૂમ પેટાવિભાગમાં મનુ બાંકુલ ખાતે બૌદ્ધ યુનિવર્સિટીની સ્થાપના માટે પહેલેથી જ ઉદ્દેશ્ય પત્ર આપી દીધો છે.
તેમણે કહ્યું કે, હવે સંસ્થાએ સૂચિત સ્થળ પર જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે વહેલી તકે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવો પડશે. તેમણે કહ્યું કે, જરૂરી સુવિધાઓ ઉભી થતાં જ સરકાર યુનિવર્સિટીની સ્થાપના માટે વિધાનસભામાં બિલ લાવશે. સબરૂમના ધારાસભ્ય શંકર રાયે જણાવ્યું કે યુનિવર્સિટીની સ્થાપના માટે બૌદ્ધ સંસ્થાને 25 એકર જમીન આપવામાં આવી છે. જો બધું યોગ્ય રીતે કરવામાં આવશે તો એકાદ-બે મહિનામાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ થઈ જશે.
હાલમાં, ત્રિપુરામાં ત્રિપુરા યુનિવર્સિટી છે, જે એક કેન્દ્રીય યુનિવર્સિટી છે, રાજ્ય સંચાલિત MBB યુનિવર્સિટી અને ખાનગી માલિકીની ICFAI યુનિવર્સિટી છે. આ બૌદ્ધ વિશ્વવિદ્યાલયમાંથી સાહિત્ય, સંસ્કૃતિ અને પરંપરાના અભ્યાસની સાથે-સાથે અનેક તકો મળશે. જેના કારણે શિક્ષણની સાથે સંસ્કૃતિ અને પરંપરાનો પણ પ્રચાર થશે. ટૂંક સમયમાં બૌદ્ધ યુનિવર્સિટીની સ્થાપના માટે કામગીરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: Exam Tips: બાળકોની પરીક્ષા વખતે માતા-પિતાએ આ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન, મળશે સફળતા
આ પણ વાંચો: ‘પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચો, તો અન્ય આંદોલનના પણ પરત ખેંચો’, આ કોંગ્રેસ MLA એ કરી માગ