ભારતીય ટેકનોલોજી સંસ્થા (IIT) ખડગપુરે જણાવ્યું છે કે આ વર્ષે વિદેશમાં સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) એડવાન્સ યોજવામાં આવશે નહીં. જો કે, વિદેશમાંથી લાયક વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે કોઈપણ ભારતીય કેન્દ્રમાંથી જોડાઈ શકે છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતમાં અને વિદેશમાં કોવિડ -19 ના કારણે પ્રવર્તમાન મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, નિર્ણય લેવામાં આવ્યો છે કે JEE એડવાન્સ 2021 કોઈપણ વિદેશી કેન્દ્ર/દેશમાં આયોજન કરવામાં આવશે નહીં.
જો કે, વિદેશી ઉમેદવારો સરકારના જરૂરી મુસાફરીના નિયમોનું પાલન કર્યા પછી તેમના પોતાના ખર્ચે (મુસાફરી સહિત) કોઈપણ પસંદગીના ભારતીય કેન્દ્રમાં JEE એડવાન્સ 2021 ની પરીક્ષા આપી શકે છે.
સાર્ક દેશોના ઉમેદવારો માટે, JEE એડવાન્સ 2021 પરીક્ષા ફી 75 અમેરીકી ડોલર છે અને બિન-સાર્ક દેશોના વિદ્યાર્થીઓ માટે ફી 150 અમેરીકી ડોલર છે. તેમાં વધુમાં જણાવ્યું હતું કે, “રજિસ્ટ્રેશન ફીમાં સર્વિસ ફી, પ્રોસેસિંગ ફી અને અન્ય કોઈપણ ચાર્જ શામેલ નથી કે જે બેંકો લગાવી શકે. તેમજ નોંધણી ફી પરત અથવા ટ્રાન્સફર કરી શકાતી નથી.
જે ઉમેદવારો ભારતના નાગરિક નથી, OCI, PIO કાર્ડ ધારકો છે તેઓ પણ વિદેશી નાગરિક તરીકે ગણવામાં આવશે. વિદેશી નાગરિકો જેમણે ભારત સિવાયના દેશમાં 10+2 સ્તર અથવા તેના સમકક્ષ અભ્યાસ કર્યો હોય તેમને JEE મેઈન 2021 પરીક્ષા લખવાની જરૂર નથી અને અન્ય પાત્રતાના માપદંડોને પૂર્ણ કરવા માટે JEE એડવાન્સ 2021 માટે સીધી અરજી કરી શકે છે.
જો કે, ભારતમાં 10+2 નો અભ્યાસ કરનારાઓએ JEE મુખ્ય 2021 માં હાજર રહેવું પડશે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
તેમા એમ પણ કહેવામાં આવ્યું છે કે, “તમામ વિદેશી રાષ્ટ્રીય ઉમેદવારોને 2,50,000 ભારતીય રાષ્ટ્રીય ઉમેદવારો ઉપરાંત ગણવામાં આવશે જેઓ JEE એડવાન્સ 2021 માં ઉપસ્થિત થવા લાયક છે.”
ક્યારે આવશે JEE મેઈનનું પરિણામ ?
નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA એ 2 સપ્ટેમ્બર, 2021 ના રોજ સત્ર 4 માટે JEE મેઈનની પરીક્ષા 2021 પૂરી કરી છે. JEE મેઈન પરીક્ષાનું પરિણામ 10 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકશે. પરિણામ તપાસવા માટે, ઉમેદવારોએ અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરવું પડશે.