1 ઓગસ્ટથી દેશની તમામ મોટી બેંકોએ પોઝિટિવ પે સિસ્ટમ(Positive Pay System) એટલે કે PPS લાગુ કરી દીધી છે. આ બેંકોએ તેમના ગ્રાહકોને PPS હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા માટે કહ્યું છે. બેંકોએ આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. પાંચ લાખ કે તેથી વધુના ચેક દ્વારા પેમેન્ટ માટે રિઝર્વ બેંકે(RBI) આ સિસ્ટમ ફરજિયાત બનાવી છે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો બેંક ચેક ક્લિયર કરવાનો ઇનકાર કરી શકે છે. તો આ Positive Pay System શું છે અને તે કેવી રીતે કામ કરે છે? જાણો અમારા અહેવાલ દ્વારા
રિઝર્વ બેંકે (RBI)બેંકિંગ ફ્રોડને રોકવા માટે વર્ષ 2020માં ‘પોઝિટિવ પે સિસ્ટમ’ લાવવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈની વેબસાઈટ મુજબ ઉચ્ચ મૂલ્યના ચેકની મુખ્ય વિગતો પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ફરીથી ચકાસવામાં આવે છે. આ પ્રક્રિયા હેઠળ ચેક ઈશ્યુ કરનાર વ્યક્તિ ઈલેક્ટ્રોનિકલી, એસએમએસ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ, એટીએમ વગેરે દ્વારા બેંકને ચેકની ચોક્કસ વિગતો આપે છે. ઉદાહરણ તરીકે ચેકની તારીખ, લાભાર્થીનું નામ, રકમ વગેરે … આ વિગતો ઈમેલ, મોબાઈલ બેંકિંગ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે આપવામાં આવે છે અને CTS એટલે કે ચેક ટ્રંકેશન સિસ્ટમ(Cheque Truncation System) દ્વારા ચેક સાથે ક્રોસચેક કરવામાં આવે છે.
જ્યારે ચેક બીજી બેંકમાં પેમેન્ટ કરવા માટે રજૂ કરવામાં આવે છે ત્યારે પહેલા વિગતોની ચકાસણી કરવામાં આવે છે. વિગતો બરાબર હોય તો જ થાપણદારને રોકડ આપવામાં આવશે, અન્યથા ચેક ચૂકવણી કર્યા વિના પરત કરવામાં આવશે. આ પ્રક્રિયા NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી છે. દેશની મોટાભાગની બેંકોએ આ સિસ્ટમ લાગુ કરી છે. આરબીઆઈએ 50 હજાર રૂપિયાથી વધુની ચુકવણી પર આ સિસ્ટમ લાગુ કરી હતી પરંતુ બેંકોને સ્વતંત્રતા આપી હતી કે તેઓ 5 લાખ અથવા તેનાથી વધુની ચુકવણી પર આવું કરી શકે છે. ચેકની રકમ માટે બેંકોની અલગ અલગ મર્યાદા હોઈ શકે છે.
આ નવી સિસ્ટમ આવવાથી ચેક ફ્રોડ બંધ થશે. વેરિફિકેશન અને ઓથેન્ટિકેશનના અલગ લેવલ રાખવાથી ચેક દ્વારા ટ્રાન્ઝેક્શનની સુરક્ષામાં વધારો થશે. રિઝર્વ બેંકે આ સિસ્ટમ વિશે ઘણા સમય પહેલા જણાવ્યું હતું પરંતુ બેંકોને તેને લાગુ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. આખરે ઓગષ્ટ માસથી પોઝીટીવ પે સીસ્ટમ લાગુ કરવામાં આવી છે.
Published On - 7:32 am, Thu, 4 August 22