લોકો પોતાની નિવૃત જીંદગી માટે અગાઉથી જ ઘણુ આયોજન કરતા હોય છે. ઘણા લોકોએ ઘણી યોજનાઓમાં રોકાણ કરેલુ હોય છે. પરંતુ જે લોકો નિવૃત્તિ માટે આયોજન કરી રહ્યા છે તેઓએ હવે ઈન્ડિયા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓમાં રોકાણ કરવાનું વિચારવું જોઈએ. લોકોને નિવૃત્તિ પછી વધુ સારૂ જીવન મળી શકે તે માટે રાજ્ય સમર્થિત યોજનાઓમાં રોકાણ કરવાનું વિચારવું જોઈએ. કારણકે તે રોકાણકારોને સલામત અને પ્રભાવશાળી વળતર આપે છે. આ સાથે જ પોસ્ટ સમયાંતરે ઘણી નવી અને આકર્ષક રોકાણ યોજનાઓ રજૂ કરે છે, જે તેમની નિવૃત્તિને સુરક્ષિત કરી શકે છે.
પોસ્ટ દ્વારા જાહેર કરાયેલી યોજના
ભારતીય પોસ્ટ માસિક આવક યોજના (MIS) ઓફર કરે છે, જે રોકાણકારોને નિયમિત માસિક પેન્શન સુનિશ્ચિત કરે છે. આ ચોક્કસ યોજનામાં એક સાથે એક જ રકમનું રોકાણ કરવાની જરૂર છે. લોકપ્રિય યોજનામાં રોકાણ પણ પાકતી મુદતના લાભો આપે છે. તમે વ્યક્તિગત ખાતું અથવા સંયુક્ત ખાતું ખોલાવી શકો છો. સગીર કે જેને વાલી અથવા ગાર્ડીયન હોવું જરૂરી છે અથવા 10 વર્ષથી વધુ ઉંમરના સગીર તેમના પોતાના નામે એમઆઈએસ ખાતું ખોલાવી શકે છે.
1000ની ન્યૂનતમ રકમ સાથે ખાતું ખોલાવી શકાય છે અથવા 100ના ગુણાંકમાં રૂપિયા કરી શકાય છે. એક વ્યક્તિ એક જ ખાતામાં 4.5 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 9 લાખ જમા કરાવી શકે છે. ખાતું ખોલવાની તારીખથી પરિપક્વતા સુધી એક મહિના પૂર્ણ થયા બાદ વ્યાજ ચૂકવવામાં આવે છે.
ખાતુ ખોલાવવા માટે જરૂરી બાબતો
આ એમઆઈએસ (MIS) ખાતું ખોલવાની તારીખથી પાંચ વર્ષ માટે માન્ય છે. ખાતું ખોલવાની તારીખથી એક વર્ષના અંત પહેલા ખાતું બંધ કરી શકતા નથી. જો એક વર્ષ પછી અને 3 વર્ષ પહેલા ખાતું બંધ કરવામાં આવે તો ચુકવણી કરતા પહેલા 2% રકમ મુળ રકમમાંથી કાપવામાં આવશે. 3 વર્ષ પછી પણ ખાતું ખોલ્યાની તારીખથી 5 વર્ષ પહેલા બંધ કરાવવામાં આવશે તો ચુકવણી પહેલા 1% રકમ મુળ રકમમાંથી કાપવામાં આવશે.