વોડાફોન આઈડિયા લિમિટેડે (Vodafone Idea Limited) કહ્યું કે ભારત સરકાર (Indian Government) કંપનીમાં 36 ટકા હિસ્સો હસ્તગત કરશે. બોર્ડે કંપનીની જવાબદારીને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એક અહેવાલ મુજબ આ નિર્ણય બાદ વોડાફોન આઈડિયામાં સૌથી મોટી ભાગીદારી સરકારની પાસે હશે. ત્યારબાદ Vodafone Group Plcની ભાગીદારી 28.5 ટકા, આદિત્ય બિરલા ગ્રુપની ભાગીદારી 17.8 ટકા હશે.
સરકારે થોડા દિવસ પહેલા ટેલિકોમ સેક્ટરને રાહત આપતા ઘણા મહત્વના નિર્ણય લીધા હતા. સરકારે સ્પેક્ટ્રમ ચાર્જિસ અને AGR લેણાંની ચુકવણી માટે 4 વર્ષનો મોરેટોરિયમ આપ્યો હતો. જો કે, આ સમયગાળા દરમિયાન વ્યાજની ગણતરી ચાલુ રહેશે. જો કંપની ઈચ્છે છે કે વ્યાજનો હિસ્સો ઈક્વિટીમાં કન્વર્ટ કરી દેવામાં આવે તો સરકારે તેની પણ મંજૂરી આપી હતી. સરકારના આ નિર્ણય હેઠળ વોડાફોન આઈડિયા લિમિટેડના બોર્ડે ડ્યૂને ઈક્વિટીમાં બદલવાનો નિર્ણય કર્યો છે.
માનવામાં આવી રહ્યું છે કે વ્યાજની નેટ પ્રેજન્ટ વેલ્યુ લગભગ 16 હજાર કરોડ રૂપિયા હશે. આ અનુમાન કંપની તરફ લગાવવામાં આવ્યું છે. જો કે DoT એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સની મંજૂરી મળવાની બાકી છે. રિપોર્ટસ મુજબ સરકારને 10 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ઈક્વિટી ટ્રાન્સફર કરવામાં આવશે.
ઈક્વિટીમાં ટ્રાન્સફર કર્યા બાદ સરકારની પાસે સૌથી વધારે ભાગીદારી હશે. ત્યારે શું આ કંપની સરકારી થઈ જશે અને તેનું કામકાજ કોણ જોશે, તે મોટો સવાલ છે. વોડાફોન આઈડિયા તરફથી કહેવામાં આવ્યું કે સરકાર અને પ્રમોટરની વચ્ચે ગવર્નન્સનું કામ શેર હોલ્ડર એગ્રીમેન્ટ (SHA) હેઠળ કરવામાં આવશે. પ્રમોટરોના અધિકારો માટે શેરહોલ્ડિંગ મર્યાદા 21 ટકાથી ઘટાડીને 13 ટકા કરવામાં આવશે. તેના માટે કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશન (AoA)માં ફેરફાર કરવામાં આવશે.
સરકારે ઓક્ટોબર 2021માં ટેલીકોમ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. વોડાફોન આઈડિયાએ 4 વર્ષ માટે સ્પેક્ટ્રમ ચાર્જ અને AGR લેણાં ચૂકવવાનું પસંદ કર્યું નથી. આ 4 વર્ષના મોરેટોરિયમ દરમિયાન ટેલીકોમ કંપનીઓને વ્યાજની ચૂકવણી કરવી પડશે.
ત્યારબાદ DoTએ ટેલીકોમ કંપનીઓને વધુ 90 દિવસનો સમય આપ્યો અને કહ્યું કે જો તે આ વ્યાજને ઈક્વિટીમાં ફેરવવા ઈચ્છે છે તો નિર્ણય લઈ શકે છે. વોડાફોન આઈડિયાએ આ રકમને ઈક્વિટીમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય એરટેલે પણ ટેલીકોમ રાહત પેકેજ હેઠળ AGR લેણાં અને સ્પેક્ટ્રમ ચાર્જિસ પર મોરેટોરિયમનો લાભ લીધો છે. જો કે તેને વ્યાજને ઈક્વિટીમાં ના ફેરવવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: Bank Strike : બેંક કર્મચારીઓ 23 અને 24 ફેબ્રુઆરીએ ફરી હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ?
આ પણ વાંચો: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું, ગુજરાત સહીત આ 3 રાજ્યમાં સ્થિતિમાં ઝડપી સુધારો