
ભારતની ફ્રી UPI ચુકવણી પ્રણાલીને આંચકો લાગી શકે છે. સરકારે સંસદમાં ચુકવણી અને સમાધાન પ્રણાલી કાયદામાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેના કારણે ભવિષ્યમાં ચોક્કસ UPI વ્યવહારો પર વેપારી શુલ્ક લાગી શકે છે. જ્યારે હજુ સુધી કોઈ ફી મંજૂર કરવામાં આવી નથી. પ્રસ્તાવિત કાનૂની ફેરફાર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ના અમલીકરણ માટે માર્ગ મોકળો કરે છે. ચુકવણી ઉદ્યોગ લાંબા સમયથી ડિજિટલ ચુકવણી ઇકોસિસ્ટમને વધારવા માટે આ માંગ કરી રહ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ આ ફેરફાર, તાત્કાલિક કોઈ શુલ્ક લાદશે નહીં. તેના બદલે તે એક કાનૂની માળખું બનાવે છે જે સરકારને પછીથી MDR લાગુ કરવાનો નિર્ણય લેવાની મંજૂરી આપી શકે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, અધિકારીઓ હજુ પણ આ ફી કેવી રીતે લાગુ કરી શકાય તેની ચર્ચા કરી રહ્યા છે અને દર અથવા તે કયા વ્યવહારો પર લાગુ થશે તે અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ચર્ચા હેઠળના એક પ્રસ્તાવ મુજબ ₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.3%થી 0.5% સુધી MDR લાગુ થઈ શકે છે. પરંતુ આ ચાર્જ માત્ર એવા વેપારીઓ પર લાગુ થઈ શકે છે જેમનો વાર્ષિક ટર્નઓવર ₹1.5 કરોડથી વધુ હોય. એટલે સામાન્ય ગ્રાહકોને વધારાનો ખર્ચ સહન કરવો ન પડે તેવી શક્યતા છે . જ્યારે નાના વેપારીઓ માટે UPI પેમેન્ટ પહેલાની જેમ ફ્રી રહી શકે છે. સરકાર ટ્રાન્ઝેક્શનની રકમના આધારે નહીં પરંતુ વેપારીના વાર્ષિક ટર્નઓવરના આધારે ફી નક્કી કરવાની સંભાવનાઓ પર પણ વિચાર કરી રહી છે. પોલિસી નિર્માતાઓનો પ્રયાસ છે કે જો MDR લાગુ કરવામાં આવે તો તેનો ભાર મુખ્યત્વે મોટા વેપારીઓ પર પડે અને નાના દુકાનદારો તથા રિટેલર્સ પર તેની અસર ન થાય.
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એ એવી ફી છે જે વેપારીઓ ડિજિટલ પેમેન્ટ પ્રોસેસ કરવા માટે બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે. UPIથી અલગ વેપારીઓ હાલમાં પણ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર પ્રોસેસિંગ ફી ચૂકવે છે. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર લગભગ 1.5% ચાર્જ લાગે છે. જ્યારે ડેબિટ કાર્ડ પર બેંક અને પેમેન્ટ નેટવર્ક મુજબ ઓછી ફી વસૂલવામાં આવે છે. UPI અત્યાર સુધી આવા ચાર્જથી સંપૂર્ણપણે મુક્ત હોવાથી વેપારીઓ અને ગ્રાહકો બંને માટે સૌથી લોકપ્રિય પેમેન્ટ વિકલ્પ બન્યો છે.
સૂત્રો અનુસાર, પેમેન્ટ ઇન્ડસ્ટ્રીના અધિકારીઓનું માનવું છે કે કોઈપણ મર્ચન્ટ ફી વગર UPI સેવા આપવી લાંબા ગાળે ટકાઉ બિઝનેસ મોડેલ નથી. તેમના જણાવ્યા પ્રમાણે UPI ટ્રાન્ઝેક્શનમાંથી સીધી આવક ન મળવાને કારણે નવી ટેક્નોલોજીમાં રોકાણ, પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવું અને સેવાઓનો વિસ્તાર કરવો મુશ્કેલ બની રહ્યો છે. દાવો છે કે ઊંચી કિંમતના ટ્રાન્ઝેક્શન પર મર્યાદિત MDR લાગુ કરવાથી ભારતના ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમના લાંબા ગાળાના વિકાસમાં મદદ મળી શકે છે. જોકે ₹2,000 થી વધુના વ્યવહારો કુલ વેપારી UPI ચુકવણીઓનો એક નાનો ભાગ રજૂ કરે છે, તેઓ કુલ વ્યવહાર મૂલ્યમાં નોંધપાત્ર ફાળો આપે છે.
હાલમાં આ માત્ર એક કાનૂની પ્રસ્તાવ છે. સરકારે હજુ સુધી MDR લાગુ કરવાનો અંતિમ નિર્ણય કર્યો નથી. તેમજ તેનો દર કેટલો રહેશે અને તે ક્યારેથી અમલમાં આવશે તેની પણ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અંતિમ નિર્ણય ન થાય ત્યાં સુધી હાલની જેમ UPI પેમેન્ટ સંપૂર્ણપણે ફ્રી રહેશે.