શેરબજારની અસ્થિરતાના લીધે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. આ ઉપરાંત ભવિષ્યની આર્થિક જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને બચતનું રોકાણ કરી રહ્યા છે. સ્ટોક માર્કેટના રિસ્કથી બચવા તમે એસેટ ક્લાસમાં યોગ્ય વ્યૂહરચના દ્વારા રોકાણ કરી શકો છો. એસેટ કલાસ પોતાના ચક્રને અનુસરે છે અને તેના ઉતાર-ચઢાવની આગાહી કરવી સરળ નથી. તમારા પોર્ટફોલિયો માટે સંતુલિત ફાળવણી વ્યૂહરચનાનું પાલન કરવું વધુ સારું છે.
એડવાઈઝર ખોજના સહ-સ્થાપક દ્વૈપાયન બોઝના જણાવ્યા અનુસાર, મલ્ટી-એસેટ ફંડ્સ હાઈબ્રિડ ફંડ્સ છે અને SEBI ના નિયમ અનુસાર, ફંડ હાઉસે ઓછામાં ઓછા 3 એસેટ ક્લાસમાં તેમના ફંડના ઓછામાં ઓછા 10 ટકા રોકાણ કરવું પડશે. આ 3 એસેટ ક્લાસ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઈક્વિટી, ડેટ અને કોમોડિટીનો ક્લાસ હોઈ શકે છે. આ પ્રકારની રણનીતિ તમામ એસેટ ક્લાસમાં ઈન્વેસ્ટમેન્ટની જરૂર છે.
1. દરેક એસેટ ક્લાસમાંથી વધારે રિટર્ન મેળવવા માટે, ખાતરી કરો કે ફંડ લેબલ સાથે સુસંગત છે અને એસેટ ફાળવણીમાં બદલાવ નથી. ઉદાહરણ તરીકે, નિપ્પોન ઈન્ડિયા મલ્ટી એસેટ ફંડે તેના 50:20:15:15 ના રોકાણ રેશિયોમાં ક્યારેય સ્થાનિક અને વિદેશી ઈક્વિટી, કોમોડિટીઝ અને ડેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પ્રકારે રેશિયો જાણવી રાખવાથી રોકાણકારો હંમેશા નફામાં રહે છે.
2. એવા ફંડની પસંદગી કરો જે આંતરરાષ્ટ્રીય ઈક્વિટીમાં પણ રોકાણ કરતા હોય. ઉદાહરણ તરીકે, નિપ્પોન મલ્ટી એસેટ ફંડ 4 એસેટ ક્લાસમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે અને કોર્પસનો 20 ટકા આંતરરાષ્ટ્રીય ઈક્વિટીમાં જાય છે. સુંદરમ, ઈન્વેસ્કો અને એક્સિસ જેવા અન્ય મલ્ટી-એસેટ ફંડ પણ વૈશ્વિક બજારોમાં રોકાણ કરે છે.
3. મલ્ટી એસેટ ફંડમાં રોકાણ કરવાથી ઈન્વેસ્ટર્સને ઈન્ડેક્સેશન લાભ મળે છે. ઈન્ડેક્સેશન તમને ફંડમાંથી વધારે નફો મેળવવામાં મદદ કરે છે કારણ કે રોકાણના મૂલ્યની ગણતરી મોંઘવારી જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને તમને વધારે રિટર્ન આપે છે.
આ પણ વાંચો : તમે લોનના હપ્તા ભરો છો તો તમારા માટે સારા સમાચાર, ફેબ્રુઆરીમાં લોનના EMI માં થઈ શકે ઘટાડો
છેલ્લા એક વર્ષમાં મલ્ટી એસેટ ફંડ્સે સારું રિટર્ન આપ્યું છે. નિપ્પોન ઈન્ડિયા મલ્ટી એસેટ ફંડ 15.72 ટકા વળતર સાથે સૌથી આગળ છે. ત્યારબાદ મોતીલાલ ઓસવાલ 13.85 ટકા સાથે બીજા નંબર પર છે. HDFC મલ્ટી એસેટ ફંડ 13.74 ટકા સાથે ત્રીજા નંબર પર છે, જ્યારે ટાટા મલ્ટી એસેટ ફંડનું રિટર્ન 12.71 ટકા રહ્યું છે.